VIDEO: LPG e-KYCની ડેડલાઇન પૂર્ણ! કનેક્શન નહીં કપાય, પણ સબસિડી માટે તાત્કાલિક પૂર્ણ કરો પ્રક્રિયા
LPG સિલિન્ડર માટે e-KYC કરાવવાની 16 ઓગસ્ટ, 2026ની ડેડલાઈન પૂરી થઈ ગઈ છે. ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને એચપી ગેસ જેવી તમામ કંપનીઓ તેમજ ઓઇલ મંત્રાલય દ્વારા ગ્રાહકોને મેસેજ અને સોશિયલ મીડિયા દ્વારા આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ ડેડલાઈન નીકળી ગયા પછી હવે ગ્રાહકોના મનમાં સવાલ છે કે e-KYC ન કરાવનારના ગેસ કનેક્શન રદ થઈ જશે કે કેમ.
શું LPG કનેક્શન રદ થઈ જશે?
ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે e-KYC પૂરું ન થવાના કારણે LPG કનેક્શન કાયમી ધોરણે રદ કરવામાં આવશે નહીં. ગેસ કંપનીઓની નોટિસ અનુસાર, ડેડલાઈન ચૂકનારા ગ્રાહકોનું કનેક્શન કાયમી રદ થવાને બદલે e-KYC પૂરું ન થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે (ટેમ્પરરી) સ્થગિત થઈ શકે છે. e-KYC પ્રક્રિયા પૂર્ણ થતાં જ કનેક્શન અને તેની સુવિધાઓ પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.
ઘરેલુ ભાવે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી અને આર્થિક બોજ
LPG સિલિન્ડરનું e-KYC ન કરાવવાથી ગેસ કનેક્શન રદ નહીં થાય, પરંતુ વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહકોને ઘરેલુ અથવા સબસિડીવાળા દરે સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ મોંઘા કોમર્શિયલ ભાવ ચૂકવવા પડી શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹942 છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹2,738 સુધી પહોંચી ગયો છે. આ તફાવતના કારણે ગ્રાહકો પર સીધો આર્થિક બોજ વધી શકે છે.
ઘેરબેઠા e-KYC કેવી રીતે પૂર્ણ કરવું?
જે ગ્રાહકોએ અગાઉ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે તેમણે ફરીથી e-KYC કરવાની જરૂર નથી. પરંતુ જેમનું બાકી છે તેઓ ઇન્ડિયનઓઇલ વન (IndianOil One) જેવી કંપનીઓની અધિકૃત એપ દ્વારા, ગેસ ડિસ્ટ્રિબ્યુટરની મુલાકાત લઈને અથવા LPG ડિલિવરી બોયના માધ્યમથી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ પ્રક્રિયામાં ગ્રાહકના ઓથન્ટિકેશનનો ઉપયોગ કરીને વેરિફિકેશન કરવામાં આવે છે.

