Loksaba Election 2024: કોણ છે કોંગ્રેસના ઉમેદવાર અજય રાય? વારાણસી બેઠક પર PM મોદીને ત્રીજી વખત આપશે પડકાર

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતા અને પ્રદેશ અધ્યક્ષ અજય રાયને વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપવામાં આવી છે. અજય રાય વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપશે. કોંગ્રેસે ત્રીજી વખત વારાણસી બેઠક પર PM મોદી સામે ટિકિટ આપી છે.
અજય રાય જૂના સંઘી છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયેલા રહ્યાં છે. બાદમાં તે ભાજપના સક્રિય સભ્ય બની ગયા હતા. પાર્ટીએ તેમણે ત્રણ વખત ઉત્તર પ્રદેશના કોલાસલાથી વિધાનસભાની ટિકિટ આપી હતી. અજય રાયે ત્રણેય વખત જીત મેળવી હતી. બાદમાં તેમણે લોકસભાની પણ ટિકિટ માંગી હતી પરંતુ પાર્ટીએ ના આપતા તે નારાજ થઇ ગયા હતા. તે બાદ તેમણે 2009માં પાર્ટી છોડી દીધી હતી અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. સમાજવાદી પાર્ટીએ તેમણે વારાણસીથી મુરલી મનોહર જોશી વિરૂદ્ધ મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા.
પાંચ વખત ભાજપના ધારાસભ્ય રહ્યાં, 2012માં કોંગ્રેસમાં થયા સામેલ
અજય રાય કુલ પાંચ વખત ધારાસભ્ય રહ્યાં છે. 2012માં તે કોંગ્રેસમાં સામેલ થયા હતા. પાર્ટીએ તેમણે પિંડરાથી ટિકિટ આપી હતી પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા. 2014 અને 2019માં કોંગ્રેસે તેમણે વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તે બન્ને વખત હારી ગયા હતા. 2023માં પાર્ટીએ તેમણે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં પાર્ટીએ ફરી વારાણસીથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટિકિટ આપી છે.
વારાણસીમાં બાહુબલીની ઓળખ, હિસ્ટ્રીશીટર પણ રહ્યાં
અજય રાયનો જન્મ 7 ઓક્ટોબર 1969માં વારાણસીની પાર્વતી દેવી રાય અને સુરેન્દ્ર રાયના ઘરે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે ગાજીપુર જિલ્લાના રહેવાસી હતા. શરૂઆતમાં તેમની ઓળખ સ્થાનિક બાહુબલીના રૂપમાં હતી અને તે એક હિસ્ટ્રીશીટર રહ્યાં છે. 1994માં કથિત મુખ્તાર અંસારી અને તેમના લોકોએ વારાણસીના લબુરાબીર વિસ્તારમાં તેમના મોટાભાઇ અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તે બાદ અજય રાય બ્રિજેશ સિંહના સહયોગી બની ગયા હતા. આ પહેલા તે 1989થી કેટલાક ગુનાહિત કેસમાં બ્રિજેશ સિંહ અને ત્રિભુવન સિંહ સાથે જોડાયા હતા.
1991માં વારાણસીના ડેપ્યુટી મેયર અનિલ સિંહ પર થયેલા હુમલામાં તેમનું નામ આવ્યું હતું. પોતાની ફરિયાદમાં અનિલ સિંહે કહ્યું હતું કે 20 ઓગસ્ટ 1991માં કન્ટોનમેન્ટ વિસ્તારમાં અજય રાય અને અન્ય લોકોએ તેમની જીપ પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં અજય રાયને આ કેસમાં છોડી મુકવામાં આવ્યા હતા.
વારાણસીમાં સાતમાં ફેઝમાં 1 જૂને મતદાન થશે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભાજપના ઉમેદવાર છે. બે વખત તેમણે અજય રાયને જ હરાવ્યા હતા.
વારાણસી બેઠક પર 2014 અને 2019માં શું પરિણામ હતું?
2014માં વારાણસી બેઠક પર પરિણામ
2014 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને 581,022 મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 209,238 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રહેલા અજય રાયને 75,614 મત મળ્યા હતા અને તે ત્રીજા સ્થાન પર રહ્યાં હતા.
2019 લોકસભા ચૂંટણીનું પરિણામ
2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને 674,664 મત મળ્યા હતા જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવને 195,159 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 152,548 મત મળ્યા હતા.Le

