લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, 13 એપ્રિલે થશે સુનાવણી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવે 'લેન્ડ ફોર જોબ' ભ્રષ્ટાચાર મામલે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો છે. દિલ્હી હાઈકોર્ટના તાજેતરના નિર્ણયને પડકારતા તેમણે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચ આ અરજી પર 13 એપ્રિલે સુનાવણી કરશે.
જણાવી દઈએ કે અગાઉ તેમણે લેન્ડ ફોર જોબ સ્કેમમાં નોંધાયેલી FIR અને ચાર્જશીટ રદ કરવાની વિનંતી કરતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. પરંતુ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રવિન્દર ડુડેજાએ લાલુ યાદવની એ માંગને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી ત્રણ ચાર્જશીટ અને નીચલી અદાલત દ્વારા લેવામાં આવેલી સંજ્ઞાન (Cognizance) ને યથાવત રાખી હતી.
શું છે 'લેન્ડ ફોર જોબ' કૌભાંડ?
આ મામલો એ સમયનો છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ વર્ષ 2004થી 2009 દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તેમના પર આક્ષેપ છે કે લાલુ યાદવે પોતાના પદનો દુરુપયોગ કરીને ભારતીય રેલવેના પશ્ચિમ મધ્ય ઝોન (જબલપુર, મધ્યપ્રદેશ) માં 'ગ્રુપ-ડી' પદો પર અનેક લોકોની નિમણૂક કરી હતી. લાલુ પ્રસાદ યાદવે એવી દલીલ કરી છે કે, CBI એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A હેઠળ પૂર્વ મંજૂરી લીધી ન હતી, તેથી આ તપાસ અને ચાર્જશીટ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.
દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ હવે સૌની નજર સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. જો સુપ્રીમ કોર્ટ લાલુ યાદવની દલીલો સાથે સહમત થાય છે, તો તેમને મોટી રાહત મળી શકે છે. અન્યથા નીચલી અદાલતમાં તેમની સામે ટ્રાયલ ચાલુ રહેશે. આ મામલે 13 એપ્રિલની સુનાવણી નિર્ણાયક સાબિત થઈ શકે છે, જે નક્કી કરશે કે લાલુ યાદવ વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપો અને કાયદેસરની કાર્યવાહી યથાવત રહેશે કે કેમ.

