પોતાના મૃત્યુ વિશે 10 દિવસ પહેલા જ ગાંધીજીએ કરી હતી આ વાત, જાણો બાપુને કેટલી ગોળી મારી હતી નાથુરામ ગોડસેએ

મોહનદાસ કરમચંદ ગાંધી 20મી સદીના અહિંસાના સૌથી મોટા નાયક હતા. ગાંધીજીની પુણ્યતિથિ 30 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, કારણ કે 30 જાન્યુઆરી, 1948ના રોજ એક સભા દરમિયાન તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ, 10 દિવસ પહેલા જ તેમને કદાચ પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. તે દરમિયાન તેમણે કહ્યું પણ હતું કે, "જો મારે કોઈ પાગલની ગોળીથી મરવાનું જ હોય, તો મારે હસતા હસતા મરવું જોઈએ."

આઝાદી પહેલા ફાટી નીકળેલી હિંસાથી ગાંધીજી વ્યથિત હતા
એક લેખ મુજબ, ગાંધીજીએ બ્રિટનથી ભારતની આઝાદીના અભિયાનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધીએ જ ઓગસ્ટ 1947માં ભારતીય ઉપખંડના ભારત અને પાકિસ્તાન એમ બે અલગ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજનને 'બ્રિટિશ રાષ્ટ્રનું સૌથી મોટું કાર્ય' ગણાવ્યું હતું. જોકે, તેઓ હિંદુઓ, મુસ્લિમો અને શીખો વચ્ચે ફાટી નીકળેલી હિંસા અને 15 ઓગસ્ટ 1947 પહેલા હજારો લોકોને તેમના ઘરેથી વિખૂટા પાડવામાં આવ્યા તેનાથી અત્યંત દુઃખી હતા.
જિન્નાએ ગાંધીજીના આમરણ ઉપવાસનું સમર્થન કર્યું હતું
ગાંધીજી નોઆખલી ગયા. તેમણે રમખાણો રોકવા માટે આમરણ ઉપવાસ કર્યા. આ એક એવી વ્યૂહરચના હતી જે તેમણે પહેલા પણ અપનાવી હતી, જેથી સંઘર્ષ ભડકાવનારાઓને શરમિંદા કરી શકાય. પાકિસ્તાન સહિત વિશ્વભરમાંથી સમર્થનના સંદેશા આવ્યા, જ્યાં જિન્નાની નવી સરકારે શાંતિ અને સદ્ભાવના પ્રત્યેની તેમની ચિંતાની પ્રશંસા કરી.
'ગાંધીને મરવા દો' જેવા ભયાનક નારા સંભળાતા હતા
જોકે, કેટલાક હિંદુઓ એવા પણ હતા જેઓ માનતા હતા કે ગાંધીજીના અહિંસા અને બદલો ન લેવાના આગ્રહને કારણે તેઓ હુમલા સામે આત્મરક્ષા કરી શકતા નથી. દિલ્હીમાં, જ્યાં ગાંધીજી બિરલા હાઉસ નામની હવેલીમાં રહી રહ્યા હતા, ત્યાં 'ગાંધીને મરવા દો!' જેવા ભયાનક નારા સંભળાતા હતા.
'મારા માટે મૃત્યુ એક ગૌરવશાળી મુક્તિ હશે'
13 જાન્યુઆરી, 1948ના રોજ પોતાના અંતિમ ઉપવાસની શરૂઆત કરતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું- "ભારત, હિંદુ ધર્મ, શીખ ધર્મ અને ઈસ્લામના વિનાશનો લાચાર સાક્ષી બનીને રહું તેના બદલે મારા માટે મૃત્યુ એક ગૌરવશાળી મુક્તિ હશે" તેમણે સમજાવ્યું કે તેમનું સ્વપ્ન હતું કે સમગ્ર ભારતના હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી અને મુસ્લિમ સદ્ભાવનાથી સાથે રહે.
બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે કહ્યું- હસતા મુખે મરવું જોઈએ
એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે 20 જાન્યુઆરીએ ગાંધીજીના શાંતિના આહવાનથી નફરત કરનારા કટ્ટરપંથીઓના એક જૂથે તેમનાથી થોડાક જ દૂર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેનાથી કોઈ નુકસાન થયું નહોતું. ગાંધીજી પર આ પહેલો હુમલો નહોતો. જોકે, તે દરમિયાન ગાંધીજીએ કહ્યું- "જો મારે કોઈ પાગલની ગોળીથી મરવાનું જ હોય, તો મારે હસતા મુખે મરવું જોઈએ. મારામાં કોઈ ક્રોધ ન હોવો જોઈએ. ઈશ્વર મારા હૃદયમાં અને મારા હોઠ પર હોવો જોઈએ."
ગોડસે બેરેટા પિસ્તોલ લઈને પરત ફર્યો
29 જાન્યુઆરીએ 30 વર્ષનો નથુરામ ગોડસે બેરેટા ઓટોમેટિક પિસ્તોલ સાથે દિલ્હી પરત ફર્યો. બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીએ સાંજે લગભગ 5 વાગ્યે, ઉપવાસથી નબળા પડી ગયેલા 78 વર્ષીય ગાંધીજી તેમની પૌત્રીઓના સહારે બિરલા હાઉસના બગીચામાંથી પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા. તે જ સમયે નથુરામ ગોડસે ભીડમાંથી બહાર આવ્યો, તેમને પ્રણામ કર્યા અને પેટ તથા છાતીમાં ત્રણ ગોળીઓ મારી.
અડધા કલાકમાં જ ગાંધીજીનું અવસાન થયું
ગાંધીજીએ પરંપરાગત હિંદુ અભિવાદન તરીકે પોતાના હાથ જોડ્યા, જાણે પોતાના હત્યારાનું સ્વાગત કરી રહ્યા હોય, અને ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયા. કેટલાક લોકો કહે છે કે તેમણે 'રામ, રામ' કહ્યું હતું, જોકે અન્યોએ તેમને કંઈ બોલતા સાંભળ્યા નહોતા. અફરાતફરીમાં ન તો ડોક્ટરને બોલાવવામાં આવ્યા કે ન તો ગાંધીજીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને અડધા કલાકમાં જ તેમનું અવસાન થયું.
નહેરુએ કહ્યું- આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો
રેડિયો પર સંબોધન કરતા ભારતના વડાપ્રધાન પંડિત નહેરુએ કહ્યું- "રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે જ્યારે આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે, તો મને ખબર નથી કે હું તમને શું કહું અને કેવી રીતે કહું. આપણા પ્રિય નેતા હવે આપણી વચ્ચે નથી."
યમુના કિનારે 10 લાખ લોકોની ભીડ ઉમટી
બીજા દિવસે લગભગ દસ લાખ લોકોની વિશાળ ભીડ યમુના નદીના કિનારે પાંચ માઈલ લાંબી અંતિમયાત્રાના માર્ગ પર જમા થઈ હતી. ભારતીય ધ્વજમાં લપેટેલા દેહને આર્મી ટ્રક પર લઈ જવામાં આવ્યો હતો અને વાયુસેનાના વિમાનો ઉપરથી ફૂલો વરસાવી રહ્યા હતા. જ્યારે દેહને ચંદનની ચિતા પર રાખવામાં આવ્યો અને પરંપરાગત રીતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે શોકમગ્ન ભીડે ચિતા પર ફૂલોની પાંખડીઓ વરસાવી હતી.

