દિલજીત દોસાંજને ખાલિસ્તાની આતંકી પન્નુએ આપી ધમકી, બચ્ચનના ચરણ સ્પર્શ કરતા થયો વિવાદ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પ્રખ્યાત પંજાબી સીંગર દિલજીત દોસાંજને ધમકી આપી છે. પન્નુએ ધમકી આપી છે કે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 1 નવેમ્બરના રોજ યોજાનાર દોસાંજનો કોન્સર્ટ રદ કરવામાં આવે. તેણે કોન્સર્ટ ન થવા દેવાની ધમકી આપી છે. પન્નુની આ ધમકીનું બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ કનેક્શન છે. પન્નુએ બિગ બીના ચરણસ્પર્શ કરવાને 1984ના હત્યાકાંડના પીડિતોનું અપમાન ગણાવ્યું છે. પન્નુએ એક નિવેદનમાં કહ્યું કે, દિલજીત દોસાંજે અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શીને 1984ના હત્યાકાંડના પીડિતોનું અપમાન કર્યું છે.
દિલજીત દોસાંજે આવું કરીને 1984ના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે. પન્નુએ અમિતાભ બચ્ચનને પણ ધમકી આપી છે કે તેમણે ચરણ સ્પર્શ કરાવીને આ યોગ્ય કર્યું નથી. ગુરપતવંત સિંહ પન્નુએ આરોપ લગાવ્યો છે કે, અમિતાભ બચ્ચને 1984ના હત્યાકાંડના ગુનેગારોને ટેકો આપ્યો હતો. બચ્ચને હત્યાકાંડનો વિરોધ કર્યો ન હતો. આવા વ્યક્તિને નમીને દિલજીત દોસાંઝે તે રમખાણોમાં દરેક પીડિત, દરેક વિધવા અને અનાથ થયેલા દરેક બાળકનું અપમાન કર્યું છે.
જણાવી દઈએ કે, દિલજીત દોસાંઝનો ઓસ્ટ્રેલિયામાં 1 નવેમ્બરના રોજ એક કોન્સર્ટ કરી રહ્યા છે, અકાલ તખ્ત સાહિબે તે જ દિવસે શીખ નરસંહાર સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ખાલિસ્તાની સંગઠનના નેતા ગુરપતવંત સિંહ પન્નુએ નિવેદન બહાર પાડીને કહ્યું કે, બચ્ચનનો આદર કરીને દોસાંઝે "1984 ના શીખ હત્યાકાંડના દરેક પીડિત, વિધવા અને અનાથનું અપમાન કર્યું છે. પન્નુએ દાવો કર્યો હતો કે, અમિતાભ બચ્ચને 31 ઓક્ટોબર, 1984 ના રોજ "ખૂન કા બદલા ખૂન" જેવો નારો આપીને ટોળાને ઉશ્કેર્યા હતા. આ પછી જ શીખોનો નરસંહાર કરનાર ટોળું બહાર આવ્યું.
ઘટનાની તારીખથી ખાલિસ્તાનીઓ કેમ ગુસ્સે છે?
ખાલિસ્તાનીઓએ દોસાંજના કાર્યક્રમની તારીખની પણ ટીકા કરતા કહ્યું કે, આ શીખ પીડિતોની મજાક છે. શીખ ફોર જસ્ટિસે જાહેરાત કરી હતી કે, તે 1 નવેમ્બરે કાર્યક્રમ સ્થળની બહાર એક રેલી કરશે અને અકાલ તખ્તના જથેદાર જ્ઞાની કુલદીપ સિંહ ગર્ગજને પત્ર લખીને દોસાંજને તેના કૃત્યો બદલ સ્પષ્ટીકરણ કરવા અનુરોધ કર્યો હતો.

