મલ્લિકાર્જુન ખડગેની ફરી એક વખત રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્તિ, ઉપરાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર રાજ્યસભામાં વિપક્ષના નેતા બની ગયા છે. 25 જૂન 2026ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થતાં તેઓ આ પદ પરથી હટી ગયા હતા. જોકે, કર્ણાટકથી રાજ્યસભામાં પુનઃ ચૂંટાયા બાદ સોમવારે તેમણે સભ્ય તરીકે શપથ લીધા હતા, જે સાથે જ સત્તાવાર રીતે તેમને ફરી આ જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યસભા સચિવાલયનું બુલેટિન
રાજ્યસભાના મહાસચિવ પી.સી.મોદી દ્વારા જાહેર કરાયેલા સંસદીય બુલેટિન અનુસાર, ખડગેને 26 જૂન-2026થી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે ફરી માન્યતા આપવામાં આવી છે.
ઉપરાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને મલ્લિકાર્જુન ખડગેને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સાથે જ તેમણે ઉચ્ચ સદનમાં વિપક્ષના નેતા તરીકેની પોતાની જવાબદારીઓ ઔપચારિક રીતે સંભાળી લીધી છે.
આગામી સત્ર માટે મહત્વનો ઘટનાક્રમ
સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા આ ઘટનાક્રમ ઘણો મહત્વનો માનવામાં આવે છે. ખડગેએ આ પદને ગર્વ અને મોટી જવાબદારી ગણાવતા 'ઇન્ડિયા' બ્લોકના તમામ વિપક્ષી પક્ષોનો આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સત્રમાં વિપક્ષ વધુ સારા તાલમેલ સાથે જનતાના મુદ્દાઓ ઉઠાવશે.

