'કેતન હજુ જીવતો છે...' સાંભળતા જ મંગેતર સિયાના ચહેરાના બદલાઈ ગયા હતા હાવભાવ!

પુણેના બહુચર્ચિત કેતન અગ્રવાલ મર્ડર કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસ અને પરિવારના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ ખૂબ જ ઠંડા કલેજે રચાયેલું એક ભયાનક કાવતરું હતું. મંગેતર સિયા ગોયલે તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને રસ્તામાંથી હટાવવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યો હતો, જેમાં ત્રીજી પ્રયાસે હત્યાને અંજામ આપી શક્યા હતા.
કેતનના પિતા વિશાલ અગ્રવાલે ખુલાસો કર્યો છે કે ઘટનાના દિવસે એટલે કે 18 જૂનના રોજ જ તેમને સિયા પર ભારે શંકા ગઈ હતી. વિશાલ અગ્રવાલના જણાવ્યા મુજબ, "જ્યારે સિયાની માતા પૂજા ગોયલનો ફોન આવ્યો કે કેતન લોહગઢ કિલ્લા પરથી નીચે પડી ગયો છે, ત્યારે અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. ત્યાં એક મહિલા પોલીસ અધિકારીએ કહ્યું કે, કેતનના શ્વાસ હજુ ચાલી રહ્યા છે, તેને તરત જ હોસ્પિટલ લઈ જવો પડશે. આ વાત સાંભળતા જ સિયાના ચહેરાના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયા અને તે અસ્વસ્થ થઈ ગઈ.
જ્યારે કેતનને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનું મોઢું કપડાથી બાંધેલું હતું, પરંતુ ચહેરો ઓળખવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. તે સમયે રડતી સિયાનું રુદન પરિવારને તદ્દન બનાવટી લાગી રહ્યું હતું.
આ ૩ કારણોથી પરિવારની શંકા દ્રઢ બની
સવાલો પર મૌન: જ્યારે કેતનની બહેને સિયાને પૂછ્યું કે તેઓ બંને કિલ્લાના એ જોખમી ખૂણા સુધી કેવી રીતે પહોંચ્યા અને કેતન કેવી રીતે પડ્યો, ત્યારે સિયાએ કોઈ વાતનો જવાબ આપ્યો નહીં. બીજા દિવસે જ્યારે સિયા કેતનના ઘરે આવી ત્યારે પરિવારે ફરી પૂછ્યું કે કેતનનો કયો પગ લપસ્યો હતો? આ પૂછપરછ વચ્ચે જ સિયાની ફોઈ તેને બળજબરીથી "તું ચાલ, ચાલ..." કહીને ત્યાંથી ખેંચીને લઈ ગયા. આ ઘટના પછી પરિવારની શંકા પાકા વિશ્વાસમાં બદલાઈ ગઈ.
ઘર પાછા ફરતી વખતનું વર્તન
પરિવારે જ્યારે આપસમાં ચર્ચા કરી અને સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા, ત્યારે જોયું કે ઘરે પાછા ફરતી વખતે સિયાના ચહેરા પર કોઈ અફસોસ નહોતો કે તે રડતી પણ નહોતી. આ જોયા પછી પરિવારે સીધો પોલીસનો સંપર્ક કર્યો.
ચેટ ડિલીટ કરવાનો ખેલ અને સિયાનો દાવો
પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન આરોપી સિયા ગોયલે જે કારણ આપ્યું તેણે સૌને ચોંકાવી દીધા. સિયાનો દાવો છે કે તે કેતનની 'વિગ' (નકલી વાળ) પહેરવાની આદત અને તેની બોલતી વખતે સહેજ તોતડાવાની આદતને કારણે તેને નાપસંદ કરતી હતી, અને આ જ કારણે તેણે તેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું. જોકે, કેતનના પિતા વિશાલ અગ્રવાલે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે સગાઈ નક્કી થઈ તેના ઘણા સમય પહેલાં જ સિયા અને તેના પરિવારને સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું હતું કે કેતન વિગ પહેરે છે.
પુરાવા ભૂંસવાનો પ્રયાસ
પોલીસના જણાવ્યા અનુસાર, સિયા અને ચેતને હત્યા પહેલા અને પછીની તમામ મોબાઈલ ચેટ્સ ડીલીટ કરી દીધી હતી. એટલું જ નહીં, તેમણે ફોનનું રિસાયકલ બિન પણ ખાલી કરી નાખ્યું હતું. હવે ડેટા રિકવર કરવા માટે બંનેના મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
3 મોટા પુરાવા, જેનાથી સિયા બેનકાબ થઈ
આખી પ્લાનિંગને અંજામ આપ્યા પછી પણ સિયા અને ચેતન કાયદાની નજરમાંથી બચી શક્યા નહીં. પોલીસને તપાસમાં ત્રણ એવા મહત્વના પુરાવા મળ્યા, જેણે કેસનો રૂખ બદલી નાખ્યો
બહેને આપેલા ઈનપુટ
કેતન એક અનુભવી ટ્રેકર (પર્વતારોહક) હતો, તેથી તેની બહેનને પહેલા જ દિવસથી લાગતું હતું કે તે આટલી સહેલાઈથી પગ લપસવાને કારણે પડી ન શકે. બહેનની આ શંકા પછી જ પિતાએ પોલીસ પાસે 'લવ ટ્રાયન્ગલ'ની તપાસ કરવાની માંગ કરી હતી.
ભીષણ ગરમીમાં હુડી પહેરેલો છોકરો
પોલીસે જ્યારે લોહગઢ કિલ્લાના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે સીડીઓ પર એક શંકાસ્પદ છોકરો જોવા મળ્યો. જૂન મહિનાની ભીષણ ગરમી અને ચઢાણ હોવા છતાં તેણે હુડી (ટોપીવાળું જેકેટ) પહેરી રાખ્યું હતું અને સતત પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતો હતો. તે બીજું કોઈ નહીં પણ ચેતન ચૌધરી હતો, જે કેતન અને સિયાનો પીછો કરી રહ્યો હતો.
2000થી વધુ કોલ્સ
જ્યારે પોલીસે સિયાની કોલ ડિટેલ્સ (CDR) કઢાવી ત્યારે હોશ ઊડી ગયા. જાન્યુઆરીથી લઈને 18 જૂનની સવારે 7 વાગ્યા સુધીમાં સિયાએ એક જ નંબર પર 2004 વખત કોલ કર્યો હતો. બંને વચ્ચે આશરે 338 કલાક વાતચીત થઈ હતી, એટલે કે રોજની સરેરાશ 11 કોલ અને 2 કલાકની વાતચીત! આ નંબર પુણેના જ એક વેપારીના પુત્ર ચેતન ચૌધરીનો હતો.

