કૈલા માતાના દર્શન કરી ગુજરાત પરત આવતી કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર, એક જ પરિવારના 5નાં મોત અને 15 ઘાયલ

રાજસ્થાનના કરૌલી જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર 15 મુસાફરો પણ ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં સામેલ બધા ગુજરાતના છે અને તેઓ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા.
ઘાયલોની હાલત નાજુક છે
અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બસના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ડીએમ નીલાભ સક્સેના, એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય અને એએસપી ગુમનારામ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કાર અને બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા અને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.બધા કૈલા દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા.
આ પણ વાંચો : જયપુર અગ્નિકાંડ/ હવામાં ઉડતા પક્ષીઓ સહિત 14 લોકો જીવતા બળી મર્યા, યુવકના ચહેરા પર હેલ્મેટ ચોંટી ગયું
મૃતકોમાં પતિ, પત્ની, પુત્ર-પુત્રી અને મહિલા સંબંધીનો સમાવેશ થાય છે. મૃતકની કારમાંથી મળેલા આધાર કાર્ડ પરથી તમામની ઓળખ થઈ છે.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
આ દુર્ઘટના બાદ કારના ટુકડાં થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઇ છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી.

