Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kailash Yatra halted due to cloudburst in Kinner, Himachal

VIDEO: હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટતા કૈલાશ યાત્રા અટકી, ITBPએ 413 યાત્રાળુઓને બચાવ્યા

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટતા કૈલાશ યાત્રા અટકી, ITBPએ 413 યાત્રાળુઓને બચાવ્યા
સોર્સ : x

પર્વતીય પ્રદેશોમાં ચોમાસાનો વરસાદ આફત બનીને વરસ્યો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર સ્થિત તંગલિંગમાં બુધવારે વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેનો ભયાનક વિડિયો સામે આવ્યો હતો. પર્વત પરથી ખડકો અને કાટમાળનો પ્રવાહ નીચે રસ્તા પર પડતો જોવા મળ્યો હતો. અચાનક આવેલા પૂરમાં કૈલાશ યાત્રા રૂટ પરના બે પુલ ધોવાઈ ગયા હતા. અન્ય રૂટોને પણ ભારે નુકસાન થતાં યાત્રા બંધ કરવામાં આવી છે. ઘણા શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ટીમે ઝિપલાઇનની મદદથી 413 યાત્રાળુઓને બચાવ્યા છે.

App Store

કિન્નૌરના રિબ્બા ગામ નજીક રાલડાંગ કોતરમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. જેને પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 પણ બંધ થઈ ગયો છે. ધોરીમાર્ગ ઉપર લગભગ 150 મીટર સુધી કાદવ અને મોટા પથ્થરો જમા થઈ ગયા છે. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

તાત્કાલિક બચાવ ટીમ દોડાવી

બુધવારે સવારે કિન્નૌર જિલ્લા વહીવટીતંત્રને યાત્રાળુઓ ટ્રેક રૂટ પર ફસાયેલા હોવાના સમચારા મળતાં જ ITBP ને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક બચાવ ટીમ તૈનાત કરી. પર્વતારોહણ અને RRC (દોરડા બચાવ અને ચઢાણ) સાધનો, ગ્લેશિયર્સ પાર કરવા અને બચાવ કામગીરી માટે જરૂરી સાધનો જેવા કે, પર્વતારોહણ બૂટ, ક્રેમ્પન, બરફની કુહાડી, દોરડા, હાર્નેસ  સહિતની બચાવ સાધન સામગ્રી મોકલવામાં આવી હતી.

હિમાચલ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન (SDMA) ના એક  રિપોર્ટ મુજબ ચોમાસાની ઋતુમાં આ વર્ષે 20 જૂનથી 5 ઓગસ્ટ દરમિયાન 194 લોકોના મોત થયા હતા અને કુલ રૂ. 1,85,252 લાખથી વધુનું નુકસાન થયું હતું.  ચોમાસુ સિઝન 2025ના એક રિપોર્ટ પ્રમાણે 108 લોકોના મોત સીધા વરસાદ સંબંધિત ઘટનાઓ જેમ કે અચાનક પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી સંબંધિત છે. જ્યારે ખાનગી મિલકતને કુલ રૂ. 97,130 લાખનું નુકસાન થવાનો અંદાજ છે, જ્યારે જાહેર મિલકતને રૂ. 63,341.15 લાખનું નુકસાન થવાનો અંદાજ છે.

હિમાચલ પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (HPSDMA) ના બીજા રિપોર્ટ પ્રમાણે 446 રસ્તાઓ, 360 વિતરણ ટ્રાન્સફોર્મર (DTR) અને 257 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ છે. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો - NH-305, NH-003 અને NH-05 પણ અવરોધિત છે.

આ પહેલા મંગળવાર રાત્રે ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર પણ લેન્ડ સ્લાઈડ થઈ. રસ્તાઓ પર મોટા મોટા પથ્થરો પડતા રાજ્યમાં 500થી વધુ રસ્તાઓ બંધ છે. શિમલા, મંડી, સોલન અને કુલ્લૂ જિલ્લામાં સ્કૂલોમાં રજા આપવામાં આવી છે. આ પહેલા ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટતાં તબાહી મચી છે. એમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો લાપતા છે. કર્ણપ્રયાગમાં પહાડ ધસી પડતાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. હરિદ્વાર દેહરાદૂન રેલ માર્ગ ઉપર પથ્થરો પડતાં રેલ વ્યવહાર ખોટકાયો છે.