બિહારમાં પત્રકારોને દર મહિને 15 હજાર રૂપિયા મળશે પેન્શન, નીતિશ કુમારની મોટી જાહેરાત

બિહાર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે લોકોને રીઝવવા સત્તાધારી પાર્ટીઓ અને વિપક્ષ પોતાની રીતે તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણીના એંધાણ વચ્ચે હવે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે પત્રકારો માટે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, માન્ય પત્રકારોને આપવામાં આવતી પેન્શનની રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીતિશ કુમારે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું કે, "મને જણાવતા આનંદ થાય છે કે 'બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના' હેઠળ હવે આ વિભાગના તમામ પાત્ર પત્રકારોને દર મહિને રૂ. 6 હજારને બદલે રૂ. 15 હજાર પેન્શન આપવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવતા પત્રકારોના મૃત્યુના કિસ્સામાં, તેમના આશ્રિત પતિ/પત્નીને જીવનભર દર મહિને રૂ. 3 હજારને બદલે રૂ. 10 હજાર પેન્શન રકમ આપવાનો નિર્દેશ આપ્યો છે. "
નીતિશ કુમારે કહ્યું કે, લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકારોની સામાજિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. અમે શરૂઆતથી જ પત્રકારોની સુવિધાઓનું ધ્યાન રાખી રહ્યા છીએ. જેથી તેઓ નિષ્પક્ષ રીતે તેમનું પત્રકારત્વ કરી શકે. નિવૃત્તિ પછીના સમયમાં સન્માનજનક રીતે તેમનું જીવન જીવી શકે. નીતિશ કુમારે વિધાનસભા ચૂંટણી પહેલા ઘણી મોટી જાહેરાતો કરી છે. અગાઉ પણ તેમણે આવી કેટલીક જાહેરાતો કરી હતી.
ચૂંટણી પહેલા નીતિશ કુમારે કરેલી જાહેરાતો
સામાજિક સુરક્ષા પેન્શન યોજનાની રકમમાં વધારો કરાયો. વૃદ્ધો, અપંગો અને વિધવા મહિલાઓના માસિક પેન્શનને 400 રૂપિયાથી વધારીને 1100 રૂપિયા કરવામાં આવ્યા છે.
સામાન્ય લોકોને 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે અને ગ્રાહકોને તેનો લાભ જુલાઈના બિલથી જ મળવાનું શરૂ થશે.
બિહાર સરકાર આગામી પાંચ વર્ષ (2025 થી 2030) માં એક કરોડ સરકારી નોકરીઓ અને રોજગારની તકો ઊભી કરવાના લક્ષ્ય સાથે આગળ વધશે. આ લક્ષ્ય 2020-25 ની સરખામણીમાં બમણું હશે.
બિહારના પાત્ર પત્રકારોને દર મહિને રૂ. 6 હજારને બદલે રૂ. 15 હજાર પેન્શન આપવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવતા પત્રકારોના મૃત્યુના કિસ્સામાં, તેમના આશ્રિત પતિ/પત્નીને જીવનભર દર મહિને રૂ. 3 હજારને બદલે રૂ. 10 હજાર પેન્શન રકમ આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો.

