JDUને ઝટકો/ ભાગલપુરના સાંસદનું રાજીનામું, નીતિશ કુમાર પર લગાવ્યા આ આરોપ

JDU સાંસદ અજય કુમાર મંડલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. JDU સાંસદે મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજીનામા પત્ર લખ્યો હતો. જે તેમના સોશિયલ મીડિયા X પર શેર કર્યો છે. પાર્ટી પર ગંભીર આરોપો લગાવતા સાંસદે કહ્યું કે, તેઓ સ્થાનિક સાંસદ હોવા છતાં ટિકિટ અંગે મારી સાથે કોઈપણ પ્રકારે વિચાર વિમર્શ કરવામાં આવ્યો નથી. તેથી મારા માટે સાંસદ તરીકે ચાલુ રહેવાનું કોઈ વાજબી કારણ નથી.
નીતીશ કુમારને લખેલા પત્રમાં અજય મંડલે જણાવ્યું હતું કે, તમારા આશીર્વાદ અને માર્ગદર્શનથી, હું છેલ્લા 20-25 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે ભાગલપુર પ્રદેશના લોકોની સેવા કરી રહ્યો છું. આ લાંબા રાજકીય કારકિર્દી દરમિયાન, મેં જનતા દળ (યુ) ને મારા પરિવારની જેમ માન્યું છે અને તેના સંગઠન, કાર્યકરો અને જનસંપર્કને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. મેં હંમેશા ભાગલપુર અને નૌગછિયા જિલ્લામાં જિલ્લા પ્રમુખ, પ્રભારી અને કાર્યકરો સાથે મળીને પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સંગઠનમાં એવા નિર્ણયો લેવામાં આવ્યા છે જે પાર્ટી અને તેના ભવિષ્ય માટે સારા સંકેત નથી.
તેમણે કહ્યું કે, સ્થાનિક સાંસદ હોવા છતાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીમાં મારી સલાહ લેવામાં આવી રહી નથી. પાર્ટી સંગઠન માટે ક્યારેય કામ ન કરનારા વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી રહી છે, જ્યારે જિલ્લા પ્રમુખ અને સ્થાનિક નેતૃત્વના મંતવ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.
શું JDU સાંસદને મળવાની પણ મંજૂરી નથી?
નીતિશ કુમાર સાથે મુલાકાત કરવા દેવામાં આવતી નથી. અભિપ્રાય પણ સાંભળતા નથી. મારો હેતુ કોઈ નારાજગી કે વિરોધ વ્યક્ત કરવાનો નથી, પરંતુ પાર્ટી અને તમારા નેતૃત્વને ભવિષ્યમાં થતા નુકસાનથી બચાવવાનો છે. જો બહારના લોકો અથવા નિષ્ક્રિય વ્યક્તિઓને પ્રાથમિકતા આપવામાં આવતી રહેશે, તો પાર્ટીના મૂળ નબળા પડી જશે, જે 0માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ પર સીધી અસર કરશે, જે આપણા બધા માટે ચિંતાનો વિષય છે.

