VIDEO: બિહાર ભાજપના ગઢમાં જન સુરાજનું ગાબડું, પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભવ્ય જીત
બિહારની હાઇપ્રોફાઇલ ગણાતી બાંકિપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમારને 18953 મતોના જંગી માર્જિનથી હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. 30 જુલાઈના રોજ યોજાયેલા મતદાન બાદ 3 ઓગસ્ટના રોજ પટનાના બોરિંગ રોડ સ્થિત એ.એન. કૉલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ પ્રશાંત કિશોરે મજબૂત સરસાઈ મેળવી લીધી હતી, જે અંતિમ રાઉન્ડ સુધી જાળવી રાખી હતી. આ ચૂંટણીમાં ભાજપના નીરજ કુમાર બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે આરજેડી (RJD)ના ઉમેદવાર રેખા કુમારી ત્રીજા ક્રમે રહ્યા હતા.
ભાજપના ગઢમાં જન સુરાજનું ગાબડું
બાંકિપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP)નો મજબૂત ગઢ માનવામાં આવતી હતી. ભાજપના આ પરંપરાગત ગઢમાં પ્રશાંત કિશોરની આ જીતને જન સુરાજ પાર્ટી માટે ખૂબ જ મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી
નોંધનીય છે કે, પ્રશાંત કિશોરની આ પ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી લડાઈ હતી. તેમણે પોતાની સક્રિય ચૂંટણી કારકિર્દીની શરૂઆત જ એક મોટી જીત સાથે કરીને બિહારના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે.
પ્રશાંત કિશોરના ભાજપ પર પ્રહાર
જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.'
પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.'

