જમ્મુ-કાશ્મીર: કઠુઆમાં મકાનમાં ભીષણ આગ, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાન

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં શિવનગરમાં એક ઘરમાં આગ લાગવાથી 6 લોકોના શ્વાસ રૂંધાઈ જતાં મોત થયા છે. માહિતી મુજબ આ ઘરમાં લગભગ 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા, જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા છે.
મૃતકો
1- ગંગા ભગત- ઉંમર 17 વર્ષ
2- દાનિશ ભગત- ઉંમર 15 વર્ષ
3- અવતાર કૃષ્ણ- ઉંમર 81 વર્ષ
4- બરખા રૈના- ઉંમર 25 વર્ષ
5- તાકશ રૈના- ઉંમર 3 વર્ષ
6- અદ્વિક રૈના- ઉંમર 4 વર્ષ
કેવી રીતે આગ લાગી?
માહિતી અનુસાર મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ ગયેલા લોકોને કઠુઆની જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. માહિતી અનુસાર જેમના ઘરમાં આગ લાગી તે નિવૃત્ત પોલીસ અધિકારીનું મકાન હતું. જેમાં નિવૃત્ત ડીએસપી પણ મૃત્યુ પામી ગયા હતા.

