જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુપવાડાના ગુગલધરમાં ઘૂસણખોરીના પ્રયાસની બાતમી મળતાની સાથે જ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી હતી.
જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા
કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ સેનાના જવાનોએ કુપવાડાના ગુગલધર વિસ્તારમાંથી બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
ભારતીય સેનાએ શનિવારે કહ્યું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોએ ગુગલધરમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોયા છે. આ પછી ઘુસણખોરોને પડકારવામાં આવ્યા અને ફાયરિંગ શરૂ થયું.
વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે
સેનાએ કહ્યું કે ગુગલધર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. તેનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે.

