વિદેશમાં ભણીને આવેલાઓને ભારતમાં નોકરી માટે ફરજિયાત લેવું પડશે આ સર્ટી, UGCએ શરૂ કર્યું પોર્ટલ

વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રીને કે ક્વોલિફિકેશનને ઈક્વલન્સી એટલે કે સમકક્ષતા આપવા માટે યુજીસી દ્વારા પ્રથમવાર રેગ્યુલેશન્સ તૈયાર કરીને જાહેર કરવામા આવ્યા છે. જે અંતર્ગત વિદેશની યુનિ.ઓમાં ભણેલા વિદ્યાર્થીઓ કે વિદેશમાં ધો.12 સુધીનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ અભ્યાસ,પીએચડી કે રિસર્ચ માટે ઈકવલન્સી સર્ટિફિકેટ એટલે કે સમકક્ષતા પ્રમાણપત્ર આપવામા આવશે. આ માટે યુજીસી દ્વારા ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામા આવ્યુ છે અને જેમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. વિદેશી સંસ્થાઓની ડિગ્રીને ભારતીય ડિગ્રી-પ્રોગ્રામ સાથે સમકક્ષતા આપવા યુજીસી દ્વારા પોર્ટલ શરૂ કરાયું છે.
વિદેશમાં ભણેલા વિદ્યાર્થીએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે
યુજીસીના આ નવા રેગ્યુલેશન્સ મુજબ વિદેશમાં ભણેલા વિદ્યાર્થીએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને જે માટે નિશ્ચિત ફી ભરવાની રહેશે. અરજી કર્યા બાદ યુજીસી દ્વારા નિમાયેલી સ્ટેન્ડિંગ કમિટી તેની ચકાસણી કરશે.જેમાં વિદ્યાર્થીએ વિદેશમાં શું અભ્યાસ કર્યો છે, ક્યા પ્રકારનો અભ્યાસ કર્યો છે, કેટલી ક્રેડિટ મેળવી છે અને ભારતમાં જે યુનિ.કે કોલેજમાં અભ્યાસ કરવા માંગે છે તેના પ્રોગ્રામ માટે જરૂરી ક્રેડિટ છે કે નહીં તેમજ પ્રોગ્રામ માટે જરૂરી વિષયોનો અભ્યાસ છે કે નહીં તે તમામ બાબતની ચકાસણી કરવામા આવશે.
વિદ્યાર્થીએ અંગ્રેજીમાં ટ્રાન્સસ્ક્રિપ્ટ આપવી પડશે
વિદેશમાં ધો.12 સુધીનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ભારતમાં યુજીનો અભ્યાસ કરવા માટે ઈકવલન્સી સર્ટિફિકેટ મેળવવુ હોય તો ઓછામાં ઓછો 12 વર્ષનો અભ્યાસ વિદેશમાં હોવો જોઈએ. વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની ભાષા જો અંગ્રેજી ન હોય અથવા તો ભારતની નિયત કરાયેલી બંધારણીય ભાષામાં ન હોય તો વિદ્યાર્થીએ અંગ્રેજીમાં ટ્રાન્સસ્ક્રિપ્ટ આપવી પડશે.
ઈક્વલન્સી સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી
યુજીસીના આ નિયમો મુજબ ભારતની યુનિ.ના વિદેશની યુનિ.સાથે થયેલા ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ-એમઓયુ હેઠળ વિદ્યાર્થીનો અભ્યાસ થયો હોય તો ઈકવલન્સી સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી. આ ઉપરાંત વિદેશની યુનિ.ઓના ભારતમાં સ્થાપયેલા કેમ્પસમાં અભ્યાસ માટે પણ ઈક્વલન્સી સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી.
ભારતમાં કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ કે સેન્ટ્રલ યુનિ. કે ડિમ્ડ યુનિ.માં અભ્યાસ-રિસર્ચ માટે ઈકવલન્સી સર્ટિફિકેટ માન્ય રહેશે. યુજી,પીજી કે પીએચડી અને રિસર્ચ ઉપરાંત ભારતમાં નોકરી માટે પણ યુજીસી દ્વારા અપાયેલ ઈકવન્સી સર્ટિફિકેટ માન્ય રહેશે. એટલે કે ભારતમાં પણ ઘણી સરકારી અને કોર્પોરેટ નોકરીઓમાં વિદેશના વિદ્યાર્થીઓની ડિગ્રીની ચકાસણી થાય છે ત્યારે તેઓને ઈકવન્સી સર્ટિફિકેટથી સરળતા રહેશે.
યુજીસીના ચેરમેન એમ.જગાદેશ કુમારે જણાવ્યું કે આ ટ્રાન્સપર્ટન્, ટેકનોલોજી આધારીત નવા મીકેનિઝમથી વિદેશમાં સ્કૂલથી માંડી કોલેજ સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ અભ્યાસથી માંડી નોકરી માટે આ ઈક્વીલન્સી સર્ટિફિકેટ દ્વારા ખૂબ જ ફાયદો થશે અને વિલંબ વિના સરળતાથી મળી શકશે.
200થી વધુ દેશના પ્રોગ્રામ-ડિગ્રીનો ડેટા ચકાસી શકાશે
યુજીસી સેક્રેટરીના જણાવ્યા મુજબ યુજીસી દ્વારા વિદેશની યુનિ.ઓ-સ્કૂલોના વિદ્યાર્થીઓની શૈક્ષણિક લાયકાતની ચકાસણી માટે જે મીકેનિઝમ તૈયાર કરાયુ છે તેમાં 200થી વધુ દેશના પ્રોગ્રામ-ડિગ્રી-શૈક્ષણિક લાયકાતની ચકાસણી થઈ શકશે.વિદ્યાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ જો તેને કોઈ વાંધા રજૂઆત હોય કે સંતોષ ન હોય તો 13 દિવસમાં તે અપીલ કરી શકશે અને તેની અરજીને રિવ્યુ કમિટી સમકક્ષ મોકલાશે.

