લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઇન્ડિગોનું વિમાન ટેકઓફ જ ના કરી શક્યું; ડિમ્પલ યાદવ સહિત 151 મુસાફર હતા સવાર

ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ગઇ છે. દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેકઓફ દરમિયાન રન વે પર જ ઉભી રહી ગઇ હતી. કેપ્ટને સમય રહેતા વિમાનને રોકીને 151 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ પણ સવાર હતા.
સૂત્રો અનુસાર, વિમાને રન વે પર ગતિ પકડી હતી પરંતુ તેમ છતા હવામાં ઉડી શક્યું નહતું. ફ્લાઇટના કેપ્ટને રન વેના અંતિમ છેડા પહેલા જ વિમાનને રોકી દીધુ હતુ. આ ઘટનાથી વિમાનમાં સવાર મુસાફરો ગભરાઇ ગયા હતા. જોકે, તમામ મુસાફર સુરક્ષિત છે. એરલાઇને તમામ મુસાફરોને બીજી ફ્લાઇટમાં દિલ્હી મોકલ્યા હતા.
લખનૌમાં મોટી વિમાન દુર્ઘટના ટળી
લખનૌમાં ફ્લાઇટ સંખ્યા 6E-2111માં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. લખનૌ-દિલ્હી રૂટ પર ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ પહેલા જ ઉભી થઇ ગઇ હતી. રન વે પર દોડ્યા બાદ પણ ફ્લાઇટ હવામાં ઉડી શકી નહતી. ફ્લાઇટને કેપ્ટને સમય સૂચકતા દાખવતા અંતિમ છેડા પહેલા જ ફ્લાઇટને રોકી દીધી હતી.
એરપોર્ટના સૂત્રો અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ 11 વાગ્યે ઉડાન ભરવા માટે રન વે પર પહોંચી હતી. ફ્લાઇટને પુરતો થ્રસ્ટ મળ્યો નહતો જેને કારણે હવામાં ઉડી શકી નહતી. પાયલોટે તરત જ ATCને એમ્બેડિંગ ટેક ઓફની સૂચના આપી અને ઇમરજન્સી બ્રેક લગાવીને ફ્લાઇટને રોકી દીધી હતી. એરપોર્ટના સૂત્રોનું કહેવું છે કે ફ્લાઇટમાં તકલીફ આવતા વિમાન ઉડી શક્યુ નહતું. સુરક્ષાને જોતા તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતાર્યા બાદ બીજી ફ્લાઇટમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

