અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ભારતીય ઓઈલ જહાજ 'દેશ ગરિમા' સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે ભારે માત્રામાં ક્રૂડ ઓઈલ લઈને આવી રહેલું ભારતીય જહાજ 'દેશ ગરિમા' હાલમાં મુંબઈના દરિયાકાંઠાથી થોડા નોટિકલ માઈલ દૂર લંગર પર છે. આ જહાજ 18 એપ્રિલના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી નીકળ્યું હતું. મુસાફરી દરમિયાન ઈરાની સેના (IRGC) દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ છતાં ભારતીય ધ્વજ ધરાવતું આ જહાજ અટક્યું નહીં અને સફળતાપૂર્વક ભારત પહોંચ્યું છે. આ જહાજ પર કુલ 31 ભારતીય નાવિકો સવાર છે, જેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ જહાજના આગમનથી દેશમાં ઈંધણની અછતની સમસ્યામાં મોટી રાહત મળશે.જણાવી દઈએ કે, માર્ચ મહિનાથી ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરનાર આ 10મું ભારતીય જહાજ છે.
ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો
ભારતે ઈરાન પાસે ભારતીય જહાજો માટે સુરક્ષિત રસ્તાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ જેવી સ્થિતિ અને તેલ સંકટ સમયે ઈરાને અગાઉ પણ ભારતને સહકાર આપ્યો છે અને બંને દેશો વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે.વ્યાપારી જહાજો અને નાવિકોની સુરક્ષા અંગે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
જણાવી દઈએ કે,અગાઉ અન્ય બે ભારતીય જહાજો, 'વીએલસીસી સન્માર હેરાલ્ડ' અને 'બલ્ક કેરિયર જગ અર્ણવ' પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં IRGC દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે આ બંને જહાજોને પરત ફરવાની ફરજ પડી હતી. આ ઘટના સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયેલા સંઘર્ષમાં પ્રથમ વખત ભારતીય જહાજો પર ઈરાની સુરક્ષા દળો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સદનસીબે તે હુમલાઓમાં પણ કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નહોતી.

