VIDEO : હોર્મુઝમાં ભારતને મોટી રાહત, ભારતના વિદેશ મંત્રીએ ઇરાનના વિદેશ મંત્રી સાથે ચોથી વખત કરી વાત
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ અંગે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત કરી. ઈરાન સાથે સંઘર્ષ શરૂ થયા પછી બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ ચોથી વખત વાતચીત થઈ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ગંભીર સંકટ વચ્ચે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થઈને આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતના 28 વેપારી જહાજ ફસાયેલા છે, જેને સુરક્ષિત લાવવા અને ઈંધણની તંગી ન સર્જાય તે માટે નવી દિલ્હી દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે.
યુદ્ધ દરમિયાન ચોથી વખત વાતચીત
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જેના દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાનો નોંધપાત્ર ભાગ પસાર થાય છે. તાજેતરના સંઘર્ષ દરમિયાન ઈરાને આ માર્ગ પર મિસાઇલો અને ડ્રોન દ્વારા હુમલા શરૂ કરતા અમેરિકા યુરોપ અને ઇઝરાયલ સાથે જોડાયેલા જહાજો માટે પડકારો ઉભા થયા છે. આનાથી વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થયો છે અને ભારત જેવા આયાત-આધારિત રાષ્ટ્રો માટે ચિંતા વધી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંશિક રીતે બંધ
વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, 'કાલે રાત્રે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વધુ એક વખત વાતચીત થઈ, આ વાતચીતમાં દ્વિપક્ષીય મામલાઓ સાથે સાથે બ્રિક્સ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ', ભારત હોર્મુઝ સ્ટ્રેટના વ્યૂહાત્મક શિપિંગ રૂટ દ્વારા ભારતીય ધ્વજવાળા વેપારી જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે સંઘર્ષ વધતાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરી દીધું છે. જેથી દુનિયા પર ઉર્જાનું સંકટ ઘેરાયું છે. જો કે ગુરુવારે સારા સમાચાર સામે આવ્યા હતા કે એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ભારત પહોંચ્યું હતું. જેને ભારતના કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.
'આત્મરક્ષાનો અધિકાર'
ઈરાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ કહેવામાં આવ્યું કે, સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારતીય સમકક્ષ સાથે વાત કરી, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સામે કરવામાં આવેલા હુમલાથી ઉભી થયેલી સ્થિતિ અને ક્ષેત્ર તથા દુનિયાની સ્થિરતા અને સુરક્ષા પર તેના પરિણામોની જાણકારી આપવામાં આવી, ઈરાની વિદેશ મંત્રીએ જયશંકર સામે આત્મરક્ષાના અધિકારના ઉપયોગની ચર્ચા કરી તહેરાનના દ્રઢ સંકલ્પ પર જોર આપ્યું.
બ્રિક્સની ભૂમિકા પર જોર
વધુમાં ઉમેર્યું કે, અરાઘચીએ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મંચ અને સંગઠન દ્વારા ઈરાન સામે કરવામાં આવેલા સૈન્ય આક્રમણની નિંદા કરવાની વાત પર જોર આપ્યું, દ્વિપક્ષીય સહયોગને વધારવા એક મંચના રૂપમાં બ્રિક્સની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, ભારતે પણ હાલના સમયમાં ક્ષેત્ર અને દુનિયામાં સ્થિરતા અને સુરક્ષાનું સમર્થન કરવા બ્રિક્સની ભૂમિકા પર વધુ જોર આપ્યું.

