Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India once again exposed Pakistan on the global stage at the UN

UNમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
UNમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું
સોર્સ : GSTV

સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનની સરકાર અને ત્યાંની સેના પોતાના દેશમાં એક નફરતની ફેક્ટરી ચલાવી રહી છે. પાકિસ્તાન પોતાના નાગરિકોને ભારત સામે ભડકાવવા અને તેમની અંદર કાયમી દુશ્મનાવટની ભાવના જગાડવા માટે ધાર્મિક શબ્દોનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.

App Store

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓ માટે પડોશી દેશો પર દોષારોપણ કરવું એ પાકિસ્તાનની જૂની આદત છે અને વિશ્વને ગેરમાર્ગે દોરવાનો તેનો આ પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય.

'ફિત્ના અલ હિન્દુસ્તાન' શબ્દ પાછળનું ષડયંત્ર

પી. હરીશે સુરક્ષા પરિષદમાં ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન પોતાની સરકારી એજન્સીઓને પોતાના જ દેશની અંદર સક્રિય જૂથોને 'ફિત્ના અલ હિન્દુસ્તાન' તરીકે ઓળખાવવા આદેશ આપી રહ્યું છે. 'ફિત્ના' એ એક અરબી ધાર્મિક શબ્દ છે જેનો અર્થ દેશદ્રોહ અથવા મૂર્તિપૂજા તરીકે થાય છે. ભારતે આક્ષેપ કર્યો છે કે આ બીજું કંઈ નહીં પરંતુ ધાર્મિક શબ્દોની આડમાં પાકિસ્તાન સરકાર દ્વારા સત્તાવાર રીતે ફેલાવવામાં આવતી ગેરમાર્ગે દોરનારી માહિતી અને દુષ્પ્રચાર (મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન) છે.

સત્તા ટકાવી રાખવા 'ડીપ સ્ટેટ'ની વ્યૂહનીતિ

ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની સેના અને તેની ગુપ્તચર સંસ્થાઓ (ડીપ સ્ટેટ) પર નિશાન સાધતા કહ્યું કે, આ બધું પાકિસ્તાનની નફરતની ફેક્ટરીનું પરિણામ છે. આ વ્યૂહનીતિ પાછળનો મુખ્ય હેતુ પાકિસ્તાનના નાગરિકોને ભારત સામે સતત દુશ્મનાવટની સ્થિતિમાં રાખવાનો છે, જેથી ત્યાંની સેના સત્તા પર પોતાનો કબજો જાળવી રાખે અને દેશના રાષ્ટ્રીય સંસાધનો પર પોતાનું નિયંત્રણ રાખી શકે. આમ કરીને તેઓ પાકિસ્તાનની જનતાનું ધ્યાન દેશની મુખ્ય રાજકીય અને આર્થિક સમસ્યાઓ પરથી ભટકાવવા માંગે છે.

પાકિસ્તાની સેનાનો કાયદાથી ઉપર જવાનો ખેલ

પાકિસ્તાનમાં લોકશાહીના નામે ચાલી રહેલા સેનાના શાસન પર ભારતે આકરા પ્રહારો કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ બંધારણમાં ફેરફાર કરીને દેશની આખી રાજકીય વ્યવસ્થા પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. ગત નવેમ્બર મહિનામાં પાકિસ્તાન સરકારે જે 27મો બંધારણીય સુધારો કર્યો, તે ખરેખર તો સેના દ્વારા પડદા પાછળથી કરવામાં આવેલો એક બળવો જ છે.

આ નવા કાયદાકીય સુધારાને કારણે પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર દેશમાં સર્વોપરી બની ગયા છે. કટ્ટરપંથી વિચારધારા ધરાવતા આસિમ મુનીરને હવે કાયદાથી પણ ઉપર રાખી દેવામાં આવ્યા છે, જેના લીધે ત્યાંની સરકાર પર સેનાનું અંકુશ અને વર્ચસ્વ પહેલા કરતાં ઘણું વધારે મજબૂત બની ગયું છે.
 
આતંકવાદ સામે વૈશ્વિક લડતની અપીલ

અફઘાનિસ્તાન મુદ્દે યોજાયેલી બેઠકમાં ભારતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે અને દુનિયાના તમામ દેશોને આ જોખમ સામે એક થવા અપીલ કરી છે. ભારતના પ્રતિનિધિ પી. હરીશે સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી વિશ્વના દેશો સાથે મળીને કામ નહીં કરે, ત્યાં સુધી ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ખતરનાક આતંકી સંગઠનોને સીમાપાર આતંકવાદ ફેલાવતા રોકી શકાશે નહીં.

તેમણે લશ્કર-એ-તૈયબાના જ એક સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ એ જ આતંકી જૂથ છે જેણે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસી સ્થળ પહલગામમાં નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. ધર્મના નામે કરાયેલા આ ભયાનક આતંકી હુમલામાં 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વૈશ્વિક મંચ પર આ વાત મૂકીને ભારતે સાબિત કર્યું છે કે પાકિસ્તાનની ધરતી પરથી નભતા આ આતંકીઓ નિર્દોષ લોકોના લોહીના તરસ્યા બન્યા છે.