બે ભારતીય જહાજો પર ગોળીબાર બાદ ભારતે હોર્મુઝમાં ટેન્કરો માટે નવી એડવાઇઝરી બહાર પાડી

નવી દિલ્હી: પર્સિયન ગલ્ફમાં ઈરાની ગાર્ડ્સ દ્વારા બે ભારતીય જહાજો પર કરવામાં આવેલા ફાયરિંગ બાદ ભારત સરકાર હરકતમાં આવી છે. સરકારે ભારતીય ધ્વજ ધરાવતા તમામ જહાજો માટે નવી એડવાઇઝરી જારી કરી છે. ભારતીય નૌસેનાએ આ વિસ્તારમાં સુરક્ષા ગ્રીડ મજબૂત કરી દીધી છે અને જહાજોને અત્યંત સાવધ રહેવા સૂચના આપી છે.
લારક ટાપુથી દૂર રહેવા કડક સૂચના
ભારત દ્વારા જારી કરવામાં આવેલી નવી એડવાઇઝરી મુજબ, તમામ ભારતીય જહાજોને લારક ટાપુ (Larak Island) થી દૂર રહેવા અને ભારતીય નૌસેનાના નિર્દેશ બાદ જ આગળ વધવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લારક ટાપુ હોર્મુઝની સામુદ્રધુનીના સૌથી સાંકડા બિંદુ પર આવેલું છે અને તે ઈરાનના તેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ નૌકાદળના અડ્ડાઓનું મુખ્ય કેન્દ્ર છે.
7 યુદ્ધજહાજો દ્વારા સુરક્ષા કવચ
હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા માટે હાલ 14 ભારતીય જહાજો પ્રતીક્ષા કરી રહ્યા છે. ભારતીય નૌસેનાએ આ જહાજોની સુરક્ષા માટે પર્સિયન ગલ્ફની આસપાસ 7 શક્તિશાળી યુદ્ધજહાજો તૈનાત કર્યા છે. આ યુદ્ધજહાજો ભારતીય વેપારી જહાજોને એસ્કોર્ટ (સુરક્ષા કવચ) પૂરી પાડી રહ્યા છે.
શું હતી ઘટના?
ગત 18 એપ્રિલના રોજ, ભારતીય જહાજો 'જગ અર્ણવ' (Jag Arnav) અને 'સનમાર હેરાલ્ડ' (Sanmar Herald) જ્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ બંને જહાજોને પાછા ફરવું પડ્યું હતું. બીજી તરફ, 'દેશ ગરિમા' નામનું જહાજ સફળતાપૂર્વક સામુદ્રધુની પાર કરી ચૂક્યું છે અને 22 એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે.
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના કુલ તેલ વેપારના આશરે 20% હિસ્સા માટેનો મુખ્ય માર્ગ છે. હાલમાં ઓમાનના દરિયાકાંઠા પાસે માઈન્સ (દરિયાઈ સુરંગો) હોવાના જોખમને કારણે જહાજો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે, જે વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે.

