ખરીફ પાકની MSP માટે 2.07 લાખ કરોડ મંજૂર, કેબિનેટની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના નિર્ણયો

Union Cabinet Meeting Decision: આજે(28 મે) કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ રૂ. 2,07,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સિવાય ખેડૂતોને પોષણક્ષમ દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
MSP માટે રૂ. 2,07,000 કરોડ મંજૂર
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મંજૂર કરવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 2,07,000 કરોડ થશે. આ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP) ની ભલામણો પર આધારિત છે, જે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% નફો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવો, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રો વચ્ચે વેપાર સંતુલન જેવા ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પણ વિચારણા કરવામાં આવી છે. ખેડૂતોને કાર્યકારી મૂડીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 15,642 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આ હેઠળ, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવશે.
સરકારની વ્યાજ સબસિડી યોજના
સરકારની વ્યાજ સબસિડી યોજના હેઠળ, ખેડૂતોને ખેતી, બાગાયત સહિતના પાક માટે 3 લાખ રૂપિયા સુધી અને આનુષંગિક કૃષિ પ્રવૃત્તિઓ (જેમ કે પશુપાલન, મત્સ્યઉદ્યોગ વગેરે) માટે 2 લાખ રૂપિયા સુધીની લોન વાર્ષિક 7% ના રાહત દરે આપવામાં આવશે. આ યોજનામાં સરકાર 1.5% વ્યાજ સહાય પૂરી પાડે છે અને જો ખેડૂતો સમયસર પૈસા ચૂકવે છે, તો તેમને 3% ની વધારાની છૂટ મળે છે. આ રીતે, ખેડૂતોને કુલ માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે, જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય 2 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી નહીં લેવાય. દેશભરની 449 બેંકો અને નાણાકીય સંસ્થાઓને એક જ પોર્ટલ સાથે જોડવામાં આવી છે, જેનાથી ખેડૂતોને લોન મેળવવામાં સરળતા રહેશે.
માળખાગત સુવિધાઓ અંગે મોટી જાહેરાત
ત્રીજો નિર્ણય માળખાગત સુવિધાઓ અંગે છે, જેમાં આંધ્રપ્રદેશના બડવેલથી નેલ્લોર સુધીના 108 કિમી લાંબા 4-લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ 3,653 કરોડ રૂપિયાના ખર્ચે BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) ટોલ મોડ પર 20 વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે.
આ હાઇવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-67 (NH-67) નો ભાગ હશે અને કૃષ્ણપટ્ટનમ બંદરને સીધો જોડાણ પ્રદાન કરશે. આ માર્ગ વિશાખાપટ્ટનમ-ચેન્નઈ (VCIC), હૈદરાબાદ-બેંગલુરુ (HBIC) અને ચેન્નાઈ-બેંગલુરુ (CBIC) જેવા ઔદ્યોગિક કોરિડોરના મુખ્ય નોડ્સને જોડશે. તેનાથી હુબલી, હોસ્પેટ, બેલ્લારી, ગુટી, કડપ્પા અને નેલ્લોર જેવા આર્થિક કેન્દ્રોને પણ ફાયદો થશે.

