અઢી વીઘા જમીનની માલિકી ધરાવતા ખેડૂતને ઇન્કમટેક્સની 30 કરોડની નોટિસ

ઉત્તર પ્રદેશના મથુરામાં માત્ર અઢી વીઘા ખેતરના માલિક એક ખેડૂતને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 30 કરોડની નોટિસ ફટકારી હતી. આઈટીની નોટિસ મળતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તેણે તેની ઓળખનો દુરૂપયોગ થયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્રણ વર્ષ પહેલાં આપી હતી 14 કરોડની નોટિસ
ઉત્તર પ્રદેશના મથુરાના ખેડૂત સૌરભ કુમારને 26 માર્ચે આવકવેરા વિભાગે પોસ્ટ મારફત રૂ. 30 કરોડની નોટિસ ફટકારી હતી. સૌરભે કહ્યું કે તેના પાન કાર્ડ પર બે જીએસટી નંબર લેવાયા છે, જેના પર બે નકલી કંપની બનાવાઈ છે. આ કંપનીઓમાં કરોડો રૂપિયાનો કારોબાર થયો છે. સૌરભે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં આઈટી વિભાગે તેને રૂ. 14 કરોડની નોટિસ આપી હતી.
મથુરામાં માત્ર અઢી વીઘા જમીન
પહેલા તેને લાગ્યું કે કોઈએ તેની સાથે મજાક કરી હશે. જો કે, પાછળથી વકીલ મારફત તેણે આઈટી વિભાગને જવાબ મોકલ્યો કે તેણે કોઈ જીએસટી નંબર લીધો નથી. ત્યાર પછી તેણે આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહોતું.
કેસની તપાસમાં સામે આવ્યા બે GST નંબર
હવે 27 માર્ચે તેની પાસેથી ફરી રૂ. 16 કરોડની લેવડદેવડની માહિતી માગવામાં આવી હતી. આથી સૌરભકુમારે મથુરામાં એસપી સીટી ડૉ. અરવિંદ કુમારને ફરિયાદ કરી હતી અને આ કેસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા માગ કરી હતી. આ કેસની તપાસ કરવામાં આવતા ખેડૂતના પાન કાર્ડ પર એક જીએસટી નંબર એચઆર એન્ટરપ્રાઈઝ જ્યારે બીજો કવિતા ઈન્ડસ્ટ્રીઝના નામે લેવાયો છે. આ બંને દિલ્હીના શકરપુરના સરનામા પર લેવાયા છે.

