મુખ્ય ચૂંટણી કમિશનર સામેનો મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો, 193 સાંસદોએ કરી હતી સહી

રાજ્યસભાના અધ્યક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી 63 રાજ્યસભાના સાંસદો દ્વારા રજૂ કરાયેલી નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મહાભિયોગ પ્રસ્તાવ અંગેની નોટિસ - જેના પર 193 સાંસદો (લોકસભામાંથી 130 અને રાજ્યસભામાંથી 63) દ્વારા સહી કરવામાં આવી હતી. આ નોટિસ 12 માર્ચ, 2026 ના રોજ રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરવામાં આવી હતી. દેશની આઝાદી પછી કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશનર સામે સંસદમાં આ પ્રકારનો આ પહેલો પ્રયાસ હતો.
12 માર્ચે રાજ્યસભામાં રજૂ થયેલા આ પ્રસ્તાવ ઉપર ગંભીર ચર્ચા કરી. તમામ સંબંધિત પાસાઓ અને મુદ્દાઓના નિષ્પક્ષ મૂલ્યાંકન પછી રાજ્યસભા અધ્યક્ષે, ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 ની કલમ ૩ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને CEC જ્ઞાનેશ કુમાર સામે મુકવામાં આવેલો પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
આ નિર્ણય બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો કાર્યકાળ ચાલુ રહેશે અને તેમની સામે કોઈ મહાભિયોગ કાર્યવાહી આગળ વધશે નહીં. બંધારણને મજબૂત બનાવવા અને ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતાના સંદર્ભમાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, વિપક્ષે લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ બાબત અંગે નોટિસ રજૂ કરી હતી.
આ પ્રસ્તાવમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ લાવવાની માંગ કરવામાં આવી હતી. વિપક્ષે તેમના પર પક્ષપાતી વર્તનનો આરોપ લગાવ્યો હતો. તેમના પર સાત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા; આમાં ઓફિસમાં પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વલણ, ગેરવર્તણૂક, ચૂંટણીમાં છેતરપિંડી અને મતદાનના અધિકારોથી વંચિત રાખવાના વગેરે આરોપો શામેલ હતા.
વિરોધ પક્ષોએ ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓ માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રક્રિયાના પરિણામે અસંખ્ય મતદારો મતાધિકારથી વંચિત રહ્યા હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે CEC એ પક્ષપાતી રીતે કાર્ય કર્યું હતું, જે ચોક્કસ રાજકીય પક્ષોની તરફેણમાં હતું.
આ આરોપોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ પણ ટાંકવામાં આવ્યા હતા. નોટિસમાં ભાજપને મદદ કરવાના આરોપોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વિપક્ષે દલીલ કરી હતી કે SIR ઝુંબેશનો ઉદ્દેશ્ય કેન્દ્રમાં શાસક પક્ષને ફાયદો પહોંચાડવાનો હતો. પ્રસ્તાવમાં ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવી રાખવા અને લોકશાહી અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી.

