VIDEO: "જો 2014 પહેલા ઈરાન યુદ્ધ થયું હોત તો દેશની બધી ટ્રેનો બંધ થઈ ગઈ હોત..." પીએમ મોદીએ કેમ આપ્યું આ નિવેદન?
ભારતીય રેલવેના ક્ષેત્રમાં એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે. પીએમ મોદીએ હરિયાણાના જીંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી છે. આ ઐતિહાસિક ક્ષણ બાદ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું હતું કે, 'આજે જીંદનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ગયું છે. દુનિયામાં માત્ર ત્રણ કે ચાર દેશો જ એવા છે જેમની પાસે હાઇડ્રોજનથી ટ્રેન ચલાવવાનું સામર્થ્ય છે અને હવે ભારત પણ તે યાદીમાં સામેલ થઈ ગયું છે.'
હરિયાણાના જીંદમાં જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કટોકટી અને ભારતની આત્મનિર્ભરતા અંગે મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું છે કે, "ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) ના માર્ગેથી મોટા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને ખેડૂતો માટે અત્યંત જરૂરી એવા ખાતરની આયાત કરે છે. પરંતુ, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આ દરિયાઈ માર્ગ એક રીતે યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયો છે."
વર્ષ ૨૦૧૪ પહેલાની સ્થિતિ સાથે સરખામણી કરતા વડાપ્રધાને ઉમેર્યું કે, "મિત્રો, જો 2014 પહેલા દેશમાં આવી સ્થિતિ ઊભી થઈ હોત, તો ભારતની રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હોત. એ સમયે દેશનો એક બહુ મોટો હિસ્સો માત્ર ડીઝલથી ચાલતી ટ્રેનો પર નિર્ભર હતો. જરા કલ્પના કરો, જો ડીઝલનો પુરવઠો બંધ થઈ ગયો હોત, તો એ ટ્રેનો કેવી રીતે ચાલત? દેશ સામે એક મોટું સંકટ આવી ગયું હોત."
વર્તમાન સરકારની નીતિઓની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, "પરંતુ મિત્રો, આજની પરિસ્થિતિ 2014 જેવી નથી. આ બધું મોદીના કારણે શક્ય બન્યું છે, કારણ કે તે સમય પહેલા આયોજન કરે છે અને જમીની સ્તર પર સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ લાવે છે."
ચેન્નઈમાં બની છે દુનિયાની આ સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન
આ અદ્યતન હાઇડ્રોજન ટ્રેનનું નિર્માણ ચેન્નઈની 'ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી' (ICF) દ્વારા કરવામાં આવ્યું છે. આ નવી ટ્રેન હરિયાણામાં જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ 89 કિલોમીટર લાંબો રેલવે રૂટ ઉત્તર રેલવેના (Northern Railway) દિલ્હી ડિવિઝન હેઠળ આવે છે.
પીએમ મોદીએ આ ટ્રેનની ખાસિયતો વિશે વાત કરતા જણાવ્યું કે:
સંપૂર્ણ સ્વદેશી ડિઝાઇન: આ ટ્રેનને ભારતના જ પ્રતિભાશાળી એન્જિનિયરોએ ડિઝાઇન કરી છે.
સૌથી પાવરફુલ ટ્રેન: આ 10 કોચ ધરાવતી ટ્રેન 3200 હોર્સ પાવરની છે, જે દુનિયાની સૌથી શક્તિશાળી અને લાંબી હાઇડ્રોજન ટ્રેન છે.
પ્રદૂષણ મુક્ત સફર: આ ટ્રેન સંપૂર્ણપણે ધુમાડારહિત (ઈકો-ફ્રેન્ડલી) છે, જે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડશે નહીં.
21મી સદીની ઓળખ બનશે હાઇડ્રોજન ટ્રેન
વડાપ્રધાને ભારતીય રેલવેના ઉત્ક્રાંતિના ઇતિહાસ પર પ્રકાશ પાડતા કહ્યું કે, 'જો આપણે રેલવેનો ઇતિહાસ જોઈએ, તો 19મી સદીમાં 'વરાળ એન્જિન' (સ્ટીમ એન્જિન) તેની ઓળખ હતા. 20મી સદીમાં ડિઝલ અને વીજળીથી ચાલતી ટ્રેનો આવી, જ્યારે હવે 21મી સદીની ટ્રેનની નવી ઓળખ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન બનવા જઈ રહી છે. પાછલા 12 વર્ષોમાં ભારતીય રેલવેમાં ખૂબ જ મોટા અને ક્રાંતિકારી બદલાવ આવ્યા છે.'
વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત આત્મનિર્ભર
વર્તમાન સમયમાં ખાડી વિસ્તાર અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સંઘર્ષો અને તેના લીધે ભારતના આયાત પર થતી અસરોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, 'જો આ પ્રકારની કટોકટી વર્ષ 2014 પહેલા સર્જાઈ હોત, તો દેશની રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોત. કારણ કે તે સમયે આપણી મોટાભાગની ટ્રેનો માત્ર ડિઝલ પર નિર્ભર હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને ભારત સતત આત્મનિર્ભર બની રહ્યું છે.'
રમતગમત ક્ષેત્રે ભારતની મોટી છલાંગની તૈયારી
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશના રમતવીરોને પણ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ખેલાડીઓને દરેક સંભવ સુવિધા આપવાની ખાતરી આપતા જણાવ્યું કે, ભારત હવે વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે અને સાથે જ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે પણ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે.

