ICIMODની ચેતવણી: હિમનદીઓ પીગળતાં 2 અબજ લોકો સામે પાણીનું સંકટ

Himalaya and Hindu Kush News : હિમાલયની હિન્દુ કુશ પર્વતમાળામાંની વિશાળ હિમનદીઓ બહુ ઝડપભેર પીગળી રહી છે. આથી હિન્દુ કુશ પર્વતમાળામાંથી વહેતી 12 નદીઓના તટ પ્રદેશ પર રહેતાં લગભગ બે અબજ લોકો માટે પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાઈ શકે છે. ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, સાલ્વીન, મેકોન્ગ, યાંગત્ઝે, યલો, અમુ દર્યા, તરીમ જેવી ૧૨ નદીઓ ભારત સહિત એશિયાના 16 દેશોમાંથી વહીને 24 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે.
નેપાળના કાઠમંડુના ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ દ્વારા થયેલા સંશોધનાત્મક અભ્યાસની વિગતો દ્વારા આવો રેડ સિગ્નલ મળે છે. આ સંશોધનાત્મક અભ્યાસમાં એવો સંકેત અપાયો છે કે વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસ ( કાર્બન ડાયોક્સાઈડ, હાઈડ્રોક્લોરોફ્લોરો કાર્બન્સ, મિથેન, હાઈડ્રોફ્લોરોકાર્બન્સ, ઓઝોન, નાઈટ્રસ ઓક્સાઈડ)નું પ્રમાણ નહીં ઘટે તો આ સદીના અંત સુધીમાં હિન્દુ કુશ પર્વતમાળામાંની હિમનદીઓમાં 80 ટકા જેટલો બરફ ઘટી જવાની પૂરી શક્યતા છે.
ક્લાઈમેટ ચેન્જ (આબોહવામાં થઈ રહેલા ફેરફાર)ને કારણે પૃથ્વીના વિરાટ ગોળાના જે જે વિસ્તારમાં બરફનો વિશાળ કુદરતી જથ્થો છે તેને પણ ગંભીર અસર થઈ રહી છે. નવા સંશોધનાત્મક અભ્યાસ મુજબ માઉન્ટ એવરેસ્ટની વિશાળ હિમનદીઓમાં ફક્ત 30 વર્ષમાં બરફનો 2000 વર્ષમાં પીગળે તેટલો અતિ અતિ વિપુલ જથ્થો પીગળો ગયો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત બરફના ભયંકર તોફાનો અને નદીઓમાં અચાનક તોફાની પૂર આવા જેવી ઘટનાઓ પણ વધી જવાનું જોખમ ઝળુંબી રહ્યું છે.
હિન્દુ કુશ પર્વતમાળામાંનો બરફ આ તમામ નદીઓમાં જળ માટે મુખ્ય સ્ત્રોત ગણાય છે. આ જ નદીઓ એશિયાના 16 દેશોમાં વહીને પર્વતમાળામાં વસતા 24 કરોડ લોકો તથા તેની નજીક રહેતા એક અબજ 65 લાખ નાગરિકોને પીવાનું પાણી પહોંચાડે છે. આ અભ્યાસ વિજ્ઞાની અને નાગરિકોની સ્થળાંતર પ્રક્રિયા વિશે બહોળો અભ્યાસ કરનારા અમીના મહાજને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ગ્લોબલ વોર્મિંગની વકરી રહેલી સમસ્યા કાંઇ હિન્દુ કુશ પર્વતમાળામાં અને તેની નજીક રહેતા લોકોને કારણે નથી સર્જાઈ.
આમ છતાં ભવિષ્યમાં આ જ નિર્દોષ નાગરિકોને પીવાનુ પાણી સુદ્ધા ન મળે તેવા કપરા સંજોગો સર્જાઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિવારવા હાલ જુદી જુદી સરકારો દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે તે અપૂરતા છે.

