'રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી? હું તમને કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો અને કોના તરફથી ગયો' : હરભજનસિંહ

ગયા મહિને AAP છોડીને BJPમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે તેમને 'ગદ્દાર' કહેનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પૂર્વ ક્રિકેટરે ઈશારા-ઈશારામાં આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર પંજાબને લૂંટવાનો આરોપ લગાવતા સવાલ કર્યો છે કે પંજાબમાં રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી? હરભજન સિંહે કહ્યું છે કે સમય આવ્યે તેઓ દરેક વાતનો જવાબ આપશે. તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે પંજાબની રાજ્યસભા સીટોથી લઈને મંત્રી પદ સુધીની બધી જ વસ્તુઓ AAPના નેતૃત્વએ વેચી દીધી છે.
હરભજન સિંહે એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું, “સમય આવ્યે તમારી દરેક વાતનો જવાબ આપવામાં આવશે. મેં તમારા કોઈ લીડરને ગાળ નથી આપી. હું કોઈને ગાળ આપીને મારી જીભ શા માટે ગંદી કરું. મને ગદ્દાર કહેનારાઓ, પહેલા પોતાના લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચી હતી. જો તે ના બતાવે તો હું તમને કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોના તરફથી ગયો હતો. પંજાબને લૂંટવા માટે તથા 'લાલા' સુધી માલ પહોંચાડવા માટે કોને કેવી રીતે મંત્રી-સંત્રી બનાવવામાં આવ્યા. પંજાબને લૂંટીને ખાઈ ગયા.
યુઝરની પોસ્ટના જવાબમાં ભડક્યા
તેમની આ પોસ્ટ એક યુઝરના એ ટ્વીટના જવાબમાં આવી છે, જેમાં દેવેન્દર યાદવ નામના એક શખ્સે તેમના પર ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો હતો. યાદવે હરભજન સિંહને પૂછ્યું હતું કે, "એવી કઈ મજબૂરી હતી કે પંજાબના 800થી વધુ ખેડૂત ભાઈઓના મોત માટે જવાબદાર ભાજપમાં તમે જતા રહ્યા?" યાદવે એવો પણ સવાલ કર્યો હતો કે ભાજપમાં જવા માટે તમે તમારા જમીરની કિંમત કેટલી લગાવી? જે AAP પાર્ટીએ તમને રાજ્યસભાની સીટ આપી, તેના નેતાને દિવસ-રાત કેમ ભલું-બૂરું કહો છો અને તેની આપેલી રાજ્યસભા સીટ પરથી રાજીનામું કેમ નથી આપ્યું?
જણાવી દઈએ કે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રાઘવ ચઢ્ઢા સહિત 'આપ'ના અન્ય છ રાજ્યસભા સભ્યો સાથે 24 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 'આપ'ના કાર્યકર્તાઓએ પાર્ટી છોડનારા હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને અશોક મિત્તલના ઘરની બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. જાલંધર તથા લુધિયાણામાં ઘરની દીવાલો પર 'ગદ્દાર' જેવા સૂત્રો લખ્યા હતા. આ ઘટના બાદ પંજાબ સરકારે તેમની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હતી. જો કે પંજાબ પોલીસની સુરક્ષા હટતાં કેન્દ્ર સરકારે જાલંધરમાં હરભજનના ઘરની બહાર CRPF તૈનાત કરી દીધી છે.
માર્ચ 2022માં રાજ્યસભા સાંસદ બનવા સાથે શરૂ થઈ હતી રાજકીય સફર
ક્રિકેટરમાંથી નેતા બનેલા હરભજન સિંહની રાજકીય કારકિર્દી માર્ચ 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાવા સાથે થઈ હતી. આમ આદમી પાર્ટીએ તેમને પંજાબથી રાજ્યસભા માટે નોમિનેટ કર્યા બાદ બિનહરીફ ચૂંટાયા હતા. હરભજન સિંહે 18 જુલાઈ 2022ના રોજ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા હતા. પરંતુ 4 વર્ષમાં જ AAPનો છેડો ફાડી ભાજપનો હાથ પકડી લીધો.

