“આર્ટિકલ-370ને 371” ગણાવી દીધી મલ્લિકાર્જુન ખડગેએ, અમિત શાહે કહ્યું “કોંગ્રેસની આ પ્રકારની ભૂલોથી દેશ પરેશાન”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે (6 એપ્રિલ) જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ગૃહમંત્રીએ કહ્યું કે ભારતના મૂળ વિચારને ન સમજવા માટે કોંગ્રેસની ઇટાલિયન સંસ્કૃતિ જવાબદાર છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની એક ચૂંટણીની રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે ભાષણમાં કલમ 370ને 371 ગણાવી હતી. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસની આવી ભૂલોને કારણે દેશ હજુ પણ પરેશાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં એક ચૂંટણી સભા યોજી હતી. જેમાં લોકોને સંબોધિત કરતી વખતે કલમ 370 દ્વારા જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના ભાષણમાં પીએમ મોદીની આ મામલે આકરી ટીકા કરી હતી. રાજસ્થાનના ચુરુમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ કહ્યું, “તેઓ (પીએમ મોદી) અહીં આવ્યા અને કહ્યું કે અમે (કલમ) 371 હટાવી દીધી છે. ઠીક છે, પરંતુ અહીં તેની વાત શા માટે જરૂરી છે, જમ્મુ અને કાશ્મીરમાં જઈને આ વિશે જણાવો.
જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગઃ અમિત શાહ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના ભાષણનો વીડિયો શેર કરતા અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે શરમ આવે છે કે કોંગ્રેસ પાર્ટી એમ પૂછે છે કે કાશ્મીર સાથે શું સંબધ છે, હું કોંગ્રેસ પાર્ટીને યાદ કરવવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીર પર દરેક રાજ્ય અને નાગરિકનો અધિકાર છે, તેવી જ રીતે જમ્મુ અને કાશ્મીરના લોકોનો પણ બાકીના ભારત પર સમાન અધિકાર છે.”
અમિત શાહે ભાષણમાં કહ્યું કે કોંગ્રેસને ખબર નથી કે રાજસ્થાનના ઘણા બહાદુર સપૂતોએ કાશ્મીરમાં શાંતિ અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. પરંતુ આ એકલા કોંગ્રેસના નેતાઓની ભૂલ નથી. ભારતના વિચારને ન સમજવાના કારણે મોટાભાગે કોંગ્રેસ પાર્ટીની ઇટાલિયન સંસ્કૃતિ આ માટે જવાબદાર છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આ પ્રકારના નિવેદનોથી દેશની એકતા અને અખંડિતતાની ચિંતા કરનારા દરેક દેશભક્ત નાગરિકને ઠેસ પહોંચે છે. જનતા કોંગ્રેસને ચોક્કસ જવાબ આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કલમ 370ને 371 કહેવા બદલ મલ્લિકાર્જુન ખડગેની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, કોંગ્રેસની જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે મોદી સરકારે કલમ 371 નહીં પણ કલમ 370 હટાવી છે. જો કે, કોંગ્રેસ પાસે આવી મોટી ભૂલો થવાની આશા છે. પાર્ટી દ્વારા કરવામાં આવેલી આવી ભૂલોએ આપણા દેશને દાયકાઓથી પરેશાન કર્યા છે.

