Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : High-level SIT formed to probe Ayodhya Ram temple donation scam

અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડમાં 1 કર્મચારી ઝડપાયો, ઘરેથી લાખોની મુદ્દામાલ જપ્ત, તપાસ માટે હાઈ-લેવલ SIT ગઠિત

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડમાં 1 કર્મચારી ઝડપાયો, ઘરેથી લાખોની મુદ્દામાલ જપ્ત, તપાસ માટે હાઈ-લેવલ SIT ગઠિત
સોર્સ : gstv

અયોધ્યાના ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાનમાં નાણાકીય ગેરરીતિઓ અને ચોરીનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યા બાદ તપાસ તેજ કરી દેવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આ કૌભાંડની તપાસ માટે એક વિશેષ તપાસ દળ (SIT)ની રચના કરવામાં આવી છે. આ સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દાનપાત્રની ગણતરી સાથે જોડાયેલા એક કર્મચારીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે.

App Store

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મંદિરના દાનપાત્રોમાં જમા થતી રકમની ગણતરી સાથે જોડાયેલા કેટલાક અન્ય કર્મચારીઓ પણ હાલ તપાસના દાયરામાં છે. સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી (CCTV) ફૂટેજ, રોકડ રકમની રિકવરી અને ટેકનિકલ પુરાવાઓને મુખ્ય આધાર બનાવવામાં આવ્યા છે.

IAS વિજય વિશ્વાસ પંતના નેતૃત્વમાં SITની રચના

યુપી શાસન દ્વારા ગઠિત કરાયેલી આ હાઈ-લેવલ SITના અધ્યક્ષ લખનૌના કમિશનર (IAS) વિજય વિશ્વાસ પંતને બનાવવામાં આવ્યા છે. આ વિશેષ ટીમમાં આઈપીએસ (IPS) કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનને સભ્યો તરીકે નિયુક્ત કરાયા છે.

રિપોર્ટની સમયમર્યાદા : એસઆઈટી (SIT)ને આગામી 7 દિવસની અંદર આ મામલે પોતાનો પ્રારંભિક અહેવાલ રજૂ કરવાના આદેશ અપાયા છે. જ્યારે, 15 દિવસની અંદર આખરી અને અંતિમ તપાસ રિપોર્ટ શાસનને સોંપવાનો રહેશે.

ચઢાવો ગણતા કર્મચારીની અટકાયત, રોકડ રકમ રિકવર

બીજી તરફ, SOGની ટીમે રુદૌલીના શુજા ગંજ વિસ્તારના મીનાપુર ફગૌલી ગામના રહેવાસી લવકુશ મિશ્રા નામના યુવકને કસ્ટડીમાં લીધો છે. દાનપાત્રોમાંથી રકમની ગણતરી અને નાણાકીય રેકોર્ડની જાળવણીમાં તેની શું ભૂમિકા હતી તે અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન તેની પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી હોવાની ચર્ચા છે, જો કે તેની હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. તપાસકર્તાઓ મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહ્યા છે, જેથી ખબર પડી શકે કે ગેરરીતિ કયા સ્તરેથી આચરવામાં આવી રહી હતી.

બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા

આ વિવાદ વચ્ચે રામ મંદિર કન્સ્ટ્રક્શન કમિટીના ચેરપર્સન અને નિવૃત્ત IAS અધિકારી નૃપેન્દ્ર મિશ્રા શનિવારે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે મંદિર પરિસરમાં ચાલી રહેલા વિવિધ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. જો કે, દાન ચોરીના પ્રકરણ અંગે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, 'મારી જવાબદારી માત્ર નિર્માણ કાર્યોની દેખરેખ અને મોનિટરિંગ કરવા પૂરતી સીમિત છે, અને હું અહીં તે જ કામની સમીક્ષા માટે આવ્યો છું.'

આ મામલે ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ જણાવ્યું છે કે, 'રામ મંદિર ટ્રસ્ટે આંતરિક તપાસ શરૂ કરી દીધી છે, અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરાશે. તેમણે દેશના કરોડો રામભક્તોને આશ્વાસન આપતા કહ્યું કે કોઈપણ શ્રદ્ધાળુની આસ્થા સાથે ખિલવાડ થવા દેવામાં આવશે નહીં.