'સરકારે મનરેગા ઉપર બુલડોઝર ચલાવ્યું, કાળા કાયદા સામે લડીશું';સોનિયા ગાંધી

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, 20 વર્ષ પહેલાં જ્યારે ડૉ. મનમોહન સિંહ વડા પ્રધાન હતા, ત્યારે સંસદમાં મનરેગા કાયદો સર્વાનુમતે પસાર થયો હતો. આ એક ક્રાંતિકારી પગલું હતું, જેનાથી લાખો ગ્રામીણ પરિવારોને રોજગાર મળ્યો. ખાસ કરીને ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને અત્યંત ગરીબ માટે રોજીરોટીનો સહારો બન્યો.
સોનિયા ગાંધીએ કહ્યું કે મનરેગાએ ગામડાઓથી શહેરોમાં સ્થળાંતર અટકાવ્યું અને લોકોને રોજગારનો કાયદેસર અધિકાર આપ્યો. ગ્રામ પંચાયતોને મજબૂત બનાવીને નવજીવન આપ્યું. આ યોજનાએ મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના સ્વપ્નને આગળ વધારવામાં મદદ કરી.
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે છેલ્લા 11 વર્ષોમાં મોદી સરકારે મનરેગાને સતત નબળો પાડવાનો પ્રયાસ કર્યો. જ્યારે કે કોવિડ જેવી મહામારીમાં આ યોજના ગરીબો માટે સંજીવની સાબિત થઈ. મોદી સરકારે હાલમાં મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું છે. મહાત્મા ગાંધીનું નામ પણ આ યોજનામાંથી કાઢી નાંખ્યું. એટલું જ નહીં. મનરેગાના સ્વરૂપ વિશે કોઈપણ ચર્ચા વિચારણા વિના તેમજ વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે બદલી નાખવામાં આવ્યું.
'દિલ્હીમાં કેટલી રોજગારી નક્કી કરવામાં આવશે'
સોનિયા ગાંધીએ કહ્યું કે હવે દિલ્હીમાં બેસીને નક્કી કરવામાં આવશે કે કોને કેટલી રોજગારી મળશે, ક્યાં અને કેટલી રોજગારી મળસે. જે જમીની હકિકતથી દૂર છે. મનરેગા કોઈ એક પક્ષ માટે યોજના નથી, પરંતુ દેશ અને લોકોના હિત માટે છે. આ કાયદાને નબળો પાડીને સરકારે કરોડો ખેડૂતો, મજૂરો અને ભૂમિહીન ગ્રામીણ ગરીબો પર હુમલો કર્યો છે.
'અમે આ હુમલાનો સામનો કરીશું'
સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે આ હુમલાનો સામનો કરવા તૈયાર છીએ. 20 વર્ષ પહેલાં ગરીબ ભાઈઓ અને બહેનો માટે રોજગારનો અધિકાર અપાવવા માટે લડી હતી. આજે હું આ કાળા કાયદાની વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ છું. મારી જેમ બધા કોંગ્રેસના નેતાઓ અને લાખો કાર્યકરો તમારી સાથે ઉભા છે.

