'ભગવાન મને સત્તામાં ન બેસાડે, 30-40 કરોડ લોકો....', અવધ ઓઝાનું મોટું નિવેદન

આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને શિક્ષક અવધ ઓઝા (Avadh Ojha) ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. એક વીડિયોમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ, હિંદુ-મુસ્લિમ (Hindu-Muslim) મુદ્દે થતી ચર્ચા અને સત્તા અંગે પોતાની વાત રાખી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ભગવાનને દરરોજ પ્રાર્થના કરે છે કે તેમને ક્યારેય સત્તામાં ન બેસાડે.
‘ભગવાન મને સત્તામાં ન લાવે’
અવધ ઓઝાએ વીડિયોમાં કહ્યું કે તેઓ દેશની સ્થિતિ જોઈને દરરોજ સવારે-સાંજે ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમને સત્તા ન આપવામાં આવે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે જો તેઓ ભૂલથી દેશની ગાદી પર બેસી ગયા તો 30-40 કરોડ લોકોને ‘નિપટાવી’ દેશે. તેમણે એવું પણ કહ્યું કે દેશમાં બદતમીજી (misbehavior) તેઓ સહન નહીં કરે. આ નિવેદન બાદ તેમની વાત સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચામાં ચર્ચાનો વિષય બની છે.
હિંદુ-મુસ્લિમ મુદ્દે પણ વ્યક્ત કર્યો ગુસ્સો
અવધ ઓઝાએ હિંદુ અને મુસ્લિમને ધર્મના આધારે એકબીજા સામે ઊભા કરવાની વિચારસરણી અંગે પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એક વ્યક્તિએ પોતાના ધર્મનું એવું પાલન કરવું જોઈએ કે લોકો તેના વખાણ કરે.
તેમણે કહ્યું કે જો કોઈ હિંદુ છે તો તેણે એવું કામ કરવું જોઈએ કે તેને હિંદુ હોવા પર ગર્વ થાય. તેવી જ રીતે મુસ્લિમ વ્યક્તિએ પણ એવું કામ કરવું જોઈએ કે દુનિયા તેના વખાણ કરે. તેમણે સ્વામી રામકૃષ્ણ પરમહંસ, રામાનંદ અને રહીમ જેવા ઐતિહાસિક-ધાર્મિક વ્યક્તિત્વોના ઉદાહરણો આપ્યા.
ચૂંટણીમાં હાર બાદ રાજકારણથી અંતર
અવધ ઓઝાએ 2025ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પટપડગંજ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. ત્યારબાદ તેમણે ધીમે-ધીમે સક્રિય રાજકારણથી અંતર બનાવ્યું અને થોડા સમય પછી ‘આપ’ સાથેનો સંબંધ પણ સમાપ્ત કર્યો હતો. અહેવાલ મુજબ તેમણે સંન્યાસ લેવાની વાત પણ કરી હતી. જોકે, ભૂતકાળમાં તેઓ રાજ્યસભામાં જવાની ઇચ્છા અંગે પણ નિવેદનો આપી ચૂક્યા છે.
હાલમાં તેમનું આ નવું નિવેદન ખાસ ચર્ચામાં છે, કારણ કે તેમણે સત્તા મળવાની શક્યતા અંગે ગંભીર વાત વચ્ચે પોતાના નિવેદનમાં વ્યંગાત્મક અને આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો છે

