ભારતમાં ચાર પ્રકારના હિન્દુ, લેણ-દેણ આપણી મરજીથી કરીશું: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અધ્યક્ષ મોહન ભાગવતે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ અંગે બેબાક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે દુનિયાથી અલગ થલગ ન રહી શકીએ, પણ લેણ-દેણ કરીશું તે આપણી મરજીથી કરીશું, કોઈ ના પણ દબાણમાં આવીને નહીં કરીએ. ન તો ટેરિફ જોઈને નિર્ણય કરીશું, આપણે જે ખરીદી કરીશું તે આપણાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરનારી હશે. આપણે સ્વદેશી અપનાવીશું, જ્યાં કોઈ વિકલ્પ ન હોય ત્યાં જ વિદેશી વસ્તુઓ વાપરીશું.
ટેરિફ અંગે નિવેદન
મહત્વનું છે કે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 7 ફેબ્રુઆરી 2026ના રોજ સંઘ યાત્રાના 100 વર્ષ પૂર્ણ થવા પર વ્યાખ્યાનમાલાને સંબોધન કરતાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્પષ્ટ વાત કરી હતી. ટેરિફ અંગે તેમણે કહ્યું કે, નીતિના સ્તર પર આપણે એ કહી શકીએ કે આંતર રાષ્ટ્રીય વેપારમાં લેણ-દેણ કરવી પડે, નીતિ ઘીરે-ઘીરે ચાલી રહી છે. નીતિ પોતાની ગતિથી બદલાશે અને આગળ વધશે. પણ આપણે ઘરેલું સ્તર પર સ્વદેશી અપનાવીશું.
ભારતમાં ચાર પ્રકારના હિન્દુ: મોહન ભાગવત
સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ મુદ્દે કહ્યું કે, આપણે વિશ્વ ગુરુ બનીશું, માત્ર ભાષણો આપીને નહીં, પણ ઉદાહરણ આપું તો, આપણે ભારતીય છીએ ઘણી કળાઓ આપણને વિરાસતમાં મળી છે. ભારતમાં ચાર પ્રકારના હિન્દુ છે, પહેલા કે જે ગર્વથી કહે છે કે અમે હિન્દુ છીએ, બીજા એ કે આપણે હિન્દુ છીએ તો શું? તેમાં ગર્વ કરવાવાળી શું વાત છે? ત્રીજા એ કે જે કહે છે ધીમેથી બોલો કે આપણે હિન્દુ છીએ, અને ચોથા એ કે એ ભૂલી જ ગયા છે કે એ હિન્દુ છે અથવા તો તેમણે ભૂલવા મજબૂર કરવામાં આવ્યા છે.
બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં તેમણે જણાવ્યું કે, 'ખેડૂતો-ડેરીના હિતોને સુરક્ષિત રખાયા છે.'
પિયૂષ ગોયલે આપેલી માહિતી
• ખેડૂતો અને ડેરી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે
• 30 ટ્રિલિયન ડોલરનું યુએસ બજાર ભારતીય નિકાસકારો માટે ખુલ્લું છે
• રત્નો, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ભારતમાં બનેલા સ્માર્ટફોન પર 0% ડ્યુટી લાગશે
ફાર્માસ્યુટિકલ્સ, કોફી અને કેરીની ટેરિફ વિના નિકાસ કરાશે
વાણિજ્ય મંત્રી ગોયલે જણાવ્યું હતું કે, નવા ભારત-યુએસ વેપાર કરાર હેઠળ અમેરિકામાં ઘણી મુખ્ય ચીજવસ્તુઓની નિકાસને ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. રત્ન અને ઘરેણાં, તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને હવે ડ્યુટી-મુક્ત ઍક્સેસ મળશે, જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને 'મેક ઇન ઇન્ડિયા' પહેલને ટેકો આપશે.
ગોયલે જણાવ્યું હતું કે, રત્ન, ફાર્માસ્યુટિકલ્સ, કોફી, કેરી અને અન્ય ઘણી વસ્તુઓ અમેરિકામાં ડ્યુટી-મુક્ત નિકાસ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં, ઘણા ભારતીય ઉત્પાદનો હવે કોઈપણ ડ્યુટી વિના અમેરિકામાં નિકાસ કરી શકાશે. આમાં ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ બદામ, ચેસ્ટનટ અને વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.
પીયૂષ ગોયલના મતે, શાકભાજીના મૂળ, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલના બીજ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસ પણ પારસ્પરિક ડ્યુટીમાંથી મુક્ત રહેશે અને હવે અમેરિકન બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ કરશે.

