પહેલગામ હુમલા પર ટિપ્પણી લોક ગાયિકા Neha Singh Rathoreને પડી ભારે, રાજદ્રોહનો કેસ દાખલ
Neha Singh News | પહેલગામ હુમલામાં ખોટી ટિપ્પણીને કારણે ચર્ચામાં આવેલી યુટ્યુબર નેહા સિંહ રાઠોડ સામે રવિવારે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધી લેવામાં આવ્યો. આ મામલે હજરતગંજના એસીપી વિકાસ જાયસવાલે કહ્યું કે આ મામલે અભય પ્રતાપ સિંહે એફઆઈઆર નોંધાવી હતી.
ફરિયાદમાં શું દાવો કર્યો અભય સિંહે
અભયસિંહે એફઆઈઆરમાં કહ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં પાક. સમર્થિત આતંકી સંગઠન દ્વારા ખાસ કરીને હિન્દુ પર્યટકોને તેમનો ધર્મ પૂછી ગોળી મારી દેવામાં આવી હતી જેમાં 26 પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે લોકગાયિકા તથા તથાકથિત કવિયત્રી આંબેડકરનગરની હીડી પકડિયા વતની નેહા સિંહ રાઠોડે તેના એક્સ હેન્ડલ પર અનેક વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. બે સમુદાય વચ્ચે પરસ્પર સૌહાર્દ બગાડવા, શાંતિ વ્યવસ્થાને ભંગ કરવા માટે નેહા સિંહ સતત દેશવિરોધી વાતો કરે છે. ઉલ્લેખનીય છે કે નેહા સિંહે અનેકવાર ટ્વિટ કરીને પહલગામ મુદ્દે મોદી સરકાર સામે સવાલો ઊઠાવ્યા હતા અને તેમાં પોસ્ટ પણ મૂકી હતી કે શું આવી ઘટનાઓ પર વડાપ્રધાનને સવાલો ન પૂછી શકાય? હુમલાના ત્રીજા જ દિવસે પીએમ મોદી બિહારમાં રેલી કરવા ગયા તો એની સામે પણ નેહા સિંહે સવાલો ઊઠાવ્યા હતા.
પાકિસ્તાનમાં નેહા સિંહ રાઠૌરની પ્રશંસા થતી હોવાનો દાવો
એટલું જ નહીં, તેમના નિવેદનો પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યા છે. ઉપરાંત, નેહા સિંહ રાઠોડની પાકિસ્તાનમાં પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાની મીડિયામાં ભારત વિરુદ્ધ બધા જ રાષ્ટ્ર વિરોધી નિવેદનોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાઝિયાબાદના લોની વિધાનસભા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે નેહા વિરુદ્ધ લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે નેહા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે તેના X એકાઉન્ટ પર વાંધાજનક, ભ્રામક અને રાષ્ટ્ર વિરોધી પોસ્ટ પોસ્ટ કરી રહી છે. આના દ્વારા દેશ વિરુદ્ધ સંકલિત પ્રચાર અને પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેનાથી સાબિત થાય છે કે તે ભારતમાં ISI એજન્ટ તરીકે કામ કરી રહી છે અને એક કટ્ટરપંથી દેશ પાસેથી ભંડોળ મેળવી રહી છે.

