બિહારમાં પૂરનો કહેર: ગામડાં અને શાળાઓ જળમગ્ન, 6 વિસ્તારોમાં બોટ એકમાત્ર આધાર

Bihar Flood: બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારાની અસર કટિહાર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લાના 6 તાલુકા- કુર્સેલા, બરારી, મનિહારી, અમદાવાદ, માનસાહી અને પ્રાણપુર પૂરથી ખરાબ રીતે પ્રભાવિત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં લગભગ 5 લાખની વસ્તી પ્રભાવિત છે. કટિહારમાં ગંગા, કોસી, બારાંડી અને કારી કોસીના જળસ્તરમાં વધારો થવાને કારણે કટિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે.
ગંગાના પાણી ઘરમાં ઘૂસી ગયા
કટિહારમાં મંગળવારે મણિહારી તાલુકાના મેદિનીપુર ગામમાં ગંગાના પાણીએ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે અને આખું ગામ 4 થી 5 ફૂટ પાણીથી ભરાઈ ગયું હતું. લોકો પાસે હોડી સિવાય પરિવહનનું કોઈ સાધન નથી. જોકે, લોકોનો આરોપ છે કે સ્થાનિક વહીવટીતંત્રે ગ્રામજનોને કોઈ હોડી પૂરી પાડી નથી અને ગ્રામજનો ખાનગી હોડીઓ પર જીવી રહ્યા છે. આખા ગામમાં પાણી ઘૂસી ગયું છે, પરંતુ તેમ છતાં, ઘણા પરિવારો સુરક્ષિત સ્થળોએ જવાને બદલે પોતાના ઘરોમાં જ રહી રહ્યા છે અને જો તેમને કોઈ જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓની જરૂર હોય, તો તેઓ હોડી દ્વારા બજારમાં જાય છે અને પછી ઘરે પાછા ફરે છે.
સ્થાનિકોને હાલાકી
મેદિનીપુર ગામમાં મોહમ્મદ સુરાઝુદ્દીનનું ઘર આખુંય પાણીમાં ડૂબી ગયું છે. તેમનો આરોપ છે કે, છેલ્લાં એક અઠવાડિયાથી તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે પરંતુ, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પૂછવા પણ આવ્યું નથી. તેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને દર વર્ષે ગંગાનું પાણી આ પ્રકારે ઘરમાં ઘુસી જવાથી હાલાકીનો સામનો કરવો પડે છે.
આખેઆખું ગામ ડૂબી ગયું
પૂરથી પ્રભાવિત મેદિનીપુર ગામની શાળા પણ પાણીમાં ડૂબી ગઈ છે. શાળા સુધી પહોંચવા પણ લોકોએ હોડીનો સહારો લેવો પડે છે. શાળાનો ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીમાં ગરકાવ છે. જોકે, અમુક પરિવારે શાળાના પહેલાં માળ પર આસરો મેળવ્યો છે.

