રામ મંદિરમાં દાન ચોરી મામલે આખરે ફરિયાદ દાખલ, SITની ભલામણ બાદ સરકાર એક્શનમાં

અયોધ્યામાં રામ મંદિરમાં કથિત દાન કૌભાંડના મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. એસઆઈટીની ભલામણ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એફઆઈઆરમાં આઠ લોકોના નામ છે. રામાશંકર યાદવ (ટીનુ યાદવ), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રામાશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. યુપી સરકારના નિર્દેશ પર, બીએનસીની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ભાજપ નેતાએ PMOને કરી ફરિયાદ
રામ મંદિરમાં દાનની ચોરીના મામલાને લઈને ભાજપના સ્થાનિક નેતા ડૉ. રજનીશ સિંહે વડાપ્રધાન કાર્યાલયને બે વાર પત્ર લખ્યો હતો. રજનીશ સિંહે પહેલીવાર 9 જૂનના રોજ વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખ્યો હતો.
તેમણે માગ કરી હતી કે મંદિર ટ્રસ્ટને તેના શરૂઆતથી જ તેના નાણાકીય વ્યવહારો અને સંપત્તિઓની તમામ વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવે. ત્યારબાદ તેમણે 12 જૂને બીજો પત્ર લખીને રામ મંદિરને આપવામાં આવેલા દાનને જાહેર કરવાની માગ કરી હતી. 13 જૂને SITની રચના કરી દેવામાં આવી હતી.
PMOએ માગ્યો દાનનો હિસાબ
ભાજપના નેતાના પત્રની નોંધ લેતા PMO એ ફરિયાદ અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રને મોકલી. જિલ્લા વહીવટીતંત્રે આ મામલે શ્રી રામ મંદિર ટ્રસ્ટનો સંપર્ક કર્યો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 23 જૂને અયોધ્યાના એડીએમ (વહીવટ) વિશુ રાજાને લખેલા પત્રમાં એડીએમ (કાયદો-વ્યવસ્થા) ઈન્દ્રકાંત દ્વિવેદીએ કહ્યું કે તેમણે ફરિયાદમાં PMO દ્વારા માગવામાં આવેલી માહિતી માટે રામ મંદિર ટ્રસ્ટના ચંપત રાયનો સંપર્ક કર્યો હતો.
ચંપત રાયે દાનનો હિસાબ ન આપ્યો
અયોધ્યા એડીએમ (કાયદો-વ્યવસ્થા) ઈન્દ્રકાંત દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે ચંપત રાયે એવું કહીને કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો કે, હાલમાં SIT તપાસ ચાલી રહી છે અને તપાસ પેનલ તમામ જરૂરી રેકોર્ડ અને માહિતી એકત્રિત કરી રહી છે. તેથી અત્યારે માગવામાં આવેલી માહિતી ન આપી શકાય.
ભાજપ નેતા રજનીશ સિંહ દ્વારા PMOને મોકલવામાં આવેલી ફરિયાદમાં "સમર્પણ નિધિ" અભિયાન દ્વારા એકત્રિત ભંડોળ, વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત દાન, સોના, ચાંદી અને દાગીનાના રૂપમાં યોગદાન, બેન્ક ખાતા અને નાણાકીય વ્યવહારો, જમીન ખરીદી અને વેચાણ, મંદિર નિર્માણ અને વહીવટ પર ખર્ચ અને ઓડિટ અને નિરીક્ષણ અહેવાલો સહિત અનેક વિગતો જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

