'સાચો વીડિયો છુપાવવા નકલી રિપોર્ટ બનાવડાવ્યો, CM પદેથી રાજીનામું આપો!' રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર પરમાણુ બોમ્બ

હાલમાં જ ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના કથિત અપમાનજનક વીડિયો મામલે જોરદાર હુમલો કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, અસલી વીડિયોને છુપાવવા માટે નકલી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, અને આ ઘટનાથી જે લોકોના મનમાં શંકા હતી કે વીડિયો સાચો છે કે નકલી, તે શંકા હવે દૂર થઈ ગઈ છે. ચઢ્ઢાએ ઉમેર્યું કે તેઓ યોગ્ય સમયે આમ આદમી પાર્ટી (AAP) થી અલગ થઈ ગયા. ભગવંત માનને 'ગુરુ દ્રોહી' ગણાવતા તેમણે આપના શિખ ધારાસભ્યોને તેમનું સ્ટેન્ડ પૂછ્યું છે કે તેઓ શિખ પંથની સાથે છે કે ગુરુ દ્રોહી ભગવંત માન સાથે?
ગુરુગ્રામમાંથી બે લેબ માલિકોની ધરપકડ બાદ નવો વિવાદ
ભગવંત માનને શ્રી અકાલ તખ્ત દ્વારા 'ગુરુ દ્રોહી' જાહેર કરાયા બાદ ચાલી રહેલા હોબાળા વચ્ચે એક નવો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે ગુરુગ્રામ પોલીસે બે લેબ માલિકોની ધરપકડ કરી. આરોપ છે કે પંજાબ પોલીસના બે અધિકારીઓએ લાંચ આપીને તેમની પાસેથી એક નકલી રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેમાં કથિત અપમાનજનક વીડિયોને નકલી ગણાવવામાં આવ્યો હતો.
આ મુદ્દે ભગવંત માનને ઘેરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "ગુરુ દ્રોહી ભગવંત માનનો જે અસલી બેઅદબી વીડિયો છે, તેનું સત્ય છુપાવવા માટે નકલી રિપોર્ટ બનાવવાનું પાપ ભગવંત માન અને પંજાબ સરકારે કર્યું છે, જેનો ભાંડો હવે ફૂટી ગયો છે. જે થોડા ઘણા લોકોના મનમાં શંકા હતી, તેમના મનમાંથી પણ હવે બધા જ વહેમ દૂર થઈ ગયા છે. જો વીડિયો અસલી ન હોત, તો ભગવંત માનને નકલી રિપોર્ટ બનાવડાવવાની જરૂર જ ન પડી હોત."
રાઘવ ચઢ્ઢાએ પૂછ્યા તીખા સવાલો
રાઘવ ચઢ્ઢાએ આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીએ શ્રી અકાલ તખ્ત સાહેબને પડકાર ફેંક્યો છે, અને સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ કાર્યરત કર્યા છે. તેમણે કહ્યું, "આખી શિખ સંગત આહત છે અને ગુસ્સામાં છે. તેઓ આપના તમામ શિખ ધારાસભ્યોને પૂછી રહ્યા છે કે શું તમે શિખ પંથની સાથે છો, શ્રી અકાલ તખ્ત સાહેબને માનો છો, કે પછી પંથ વિરોધી ભગવંત માનની સાથે છો? એ વાતની પણ તપાસ થવી જોઈએ કે આ નકલી રિપોર્ટ બનાવવામાં કોણ કોણ સામેલ છે અને પૈસા કોણે આપ્યા? શું સરકારી ફંડનો દુરુપયોગ થયો છે કે મની લોન્ડરિંગ થયું છે?"
રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે, પંથ વિરોધી જાહેર થઈ ચૂકેલા ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે અને નવા બેઅદબી કાયદા હેઠળ પહેલી FIR ભગવંત માન સામે નોંધવામાં આવે.
'યોગ્ય સમયે અલગ થઈ ગયો': ચઢ્ઢા
આમ આદમી પાર્ટીના અન્ય છ રાજ્યસભા સાંસદો સાથે બગાવત કરીને ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે સારું થયું કે તેઓ યોગ્ય સમયે અલગ થઈ ગયા. તેમણે કહ્યું, "મારા પર પરમાત્માના વિશેષ આશીર્વાદ છે કે સમય રહેતા જ હું આ પંથ વિરોધી આમ આદમી પાર્ટીથી દૂર થઈ ગયો." તેમણે શિખ ધારાસભ્યોને પણ પક્ષ છોડવા ઈશારો કરતા કહ્યું કે, આજે ભગવંત માન કે આપ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ નક્કી કરવું પડશે કે તેઓ પંથ વિરોધી માન સાથે છે કે ખાલસા પંથ સાથે?

