મહારાષ્ટ્રમાં કોની થશે તાજપોશી? ફડણવીસ અને શિંદેની ખાસ મુલાકાત

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલ સસ્પેન્સ આજે પૂર્ણ થઈ શકે છે. ભાજપ અને મહાયુતિ ગઠબંધનના ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો મુંબઈ પહોંચી ગયા છે. આ બેઠક બાદ આગામી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ પદની રેસમાં ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદ માટે સહમતિ આપવામાં આવી છે.
મહાયુતિ ગઠબંધનમાં મડાગાંઠ પૂર્ણ
આ પહેલા મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા અને સંભવિત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને કેરટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. મહાયુતિ ગઠબંધનમાં ટોચના પદને લઈને ચાલી રહેલી મડાગાંઠને સમાપ્ત કરવાની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ‘તમે જ બધા જવાબ આપી દો’, જુઓ ગુસ્સે ભરાયેલા ઓમ બિરલા સંસદમાં આવું કેમ બોલ્યા
ફડણવીસ અને શિંદે વચ્ચે આ પહેલી મુલાકાત
ખાસ વાત એ છે કે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનના મહાવિજય બાદ સરકારની રચનાને લઈને ચર્ચા શરૂ થઈ ત્યારથી ફડણવીસ અને શિંદે વચ્ચે આ પહેલી મુલાકાત છે.
આજે બીજેપીના ધારાસભ્યોની બેઠક
કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 'મુખ્યમંત્રીની જાહેરાત તમામ પક્ષના નેતાઓ સાથે વાત કર્યા બાદ કરવામાં આવશે. આજે સવારે 10 વાગ્યે બીજેપીના ધારાસભ્યોની બેઠક યોજાશે, આ બેઠક પર તમામની નજર રહેશે. જેમાં પાર્ટી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. ધારાસભ્યોની તે બેઠકમાં સર્વસંમતિથી નેતા પસંદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હું અને સીતારમન નિરીક્ષક તરીકે બેઠકમાં હાજર રહીશું અને એવા નેતાની ઘોષણા માટે હાઈકમાન્ડને રિપોર્ટ સુપરત કરીશું જે આખરે મુખ્યમંત્રી બની શકે.

