જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોનું એન્કાઉન્ટર, સામસામે ફાયરિંગ, આતંકીઓ ફરાર

Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આજે (9 એપ્રિલ) સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા સુરક્ષા જવાનોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેના કારણે આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા છે. હાલ પોલીસ જવાનો અને અન્ય સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. આ સાથે આતંકવાદીઓને પકડી પાડવા માટે તપાસ અભિયાન પણ શરૂ કરી દીધું છે.
આતંકવાદીઓ જંગલમાં છુપાયા
ઉધમપુર પોલીસે કહ્યું કે, જિલ્લાના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોફર ગામમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળના જવાનો ત્યાં પહોંચતા આતંકીઓએ આડેધડ ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો હતો. જોકે સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો છે, જેના કારણે આતંકવાદીઓ ત્યાંથી ભાગી જઈ જંગલમાં છુપાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સુરક્ષા દળોનું જંગલમાં તપાસ અભિયાન
ઉધનપુરના એસએસપી આમોદ અશોક નાગપુરેએ કહ્યું કે, ‘ઊંચા પર્વતો, નદીઓ અને ગાઢ જંગલોને કારણે આ ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. અમને માહિતી મળી છે કે, જંગલની અંદર બેથી ત્રણ આતંકવાદીઓ ભાગીને છુપાઈ ગયા છે. હાલ અમે જંગલમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. ગોળીબારમાં કોઈપણ જાનહાની થઈ નથી. અમારા તમામ જવાનો સુરક્ષિત છે. આ વિસ્તાર પડકારજનક છે, જોકે તેમ છતાં અમે આતંકવાદીઓને પકડી પાડવામાં સફળ થઈશું.
સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે બે કલાક ગોળીબાર ચાલ્યો
તેમણે કહ્યું કે, સાંજે લગભગ બે કલાક સુધી સામસામે ગોળીબાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, કઠુઆ જિલ્લાના સાન્યાલ વિસ્તારમાં 24 માર્ચે તપાસ અભિયાન શરૂ કરાયું હતું. આ દરમિયાન ત્રણ એન્કાઉન્ટર થયા હતા. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળો છેલ્લા 17 દિવસથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા આતંકવાદીઓ પર નજર રાખી રહ્યા છે. 27 માર્ચે આ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ચાર પોલીસકર્મીઓ શહીદ થયા હતા.

