લોકસભામાં નંબરગેમ બદલશે એકનાથ શિંદે! ઉદ્ધવ સેનાના 6 સાંસદોના બળવાના સંકેત, NDAમાં શિંદેનું કદ વધશે

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) માં મોટું ભંગાણ પડવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. ગુરુવારે યોજાયેલી સંસદીય દળની બેઠકમાંથી આના સ્પષ્ટ સંકેતો મળ્યા છે, જેમાં પાર્ટીના 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. મહારાષ્ટ્રથી શરૂ થયેલા આ બળવાનું કેન્દ્ર હવે રાજધાની દિલ્હી બન્યું છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આનો સૌથી મોટો ફાયદો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળી શકે છે.
લોકસભામાં 293 સાંસદોના સમર્થન વાળી સત્તાધારી NDAનો આંકડો TMCના બળવાખોર સાંસદોની મદદ બાદ 300ને પાર પહોંચવાની તૈયારીમાં છે. તેવામાં જો શિવસેના (UBT) માં ભંગાણ થાય અને 6 સાંસદો પક્ષ બદલે, તો તેનો સીધો ફાયદો પણ NDAને મળશે, કારણ કે આ લોકસભા સભ્યો શિંદેની શિવસેનાને સમર્થન આપવાની યોજના બનાવી રહ્યા છે.
શિંદેએ વર્ષ 2022માં બળવો કર્યો ત્યારે ભાજપ સાથે સરકાર બનાવીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, 2024ની વિધાનસભા ચૂંટણી બાદ ચિત્ર બદલાતા દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા, જ્યારે શિંદેને ડેપ્યુટી સીએમ પદથી સંતોષ માનવો પડ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 132 અને શિવસેના (શિંદે) ને 57 બેઠકો મળી હતી. ત્યારપછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 42 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના (UBT) બંને 9-9 બેઠકો પર સમેટાઈ ગયા હતા, જ્યારે શિંદે સેનાને 7 બેઠકો મળી હતી.
હવે જો આ 6 સાંસદો તૂટીને શિવસેના (શિંદે) માં આવે છે, તો સંસદમાં પાર્ટીની સભ્ય સંખ્યા વધીને 13 થઈ જશે. આ સાથે જ કેન્દ્રમાં NDA સરકારમાં પણ તેમનું સ્થાન વધુ મજબૂત થશે. હાલમાં સત્તાધારી ગઠબંધનમાં 240 સાંસદો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ છે. જ્યારે બીજા સ્થાને અચાનક ચર્ચામાં આવેલી NCP (અજિત પવાર) પહોંચી શકે છે, જે તૃણમૂલ કોંગ્રેસના સમર્થનથી 20 સાંસદો પર પહોંચી ગઈ છે. ત્રીજા સ્થાને તેલુગુ દેશમ પાર્ટી (TDP) છે અને જો શિંદેની પાર્ટી 13 સાંસદોનું સમર્થન મેળવી લે છે, તો તે NDAમાં ચોથા નંબરની સૌથી મોટી પાર્ટી બની જશે. આ કારણે કેન્દ્ર સરકારમાં તેમનું વજન અને મોભો બંને વધશે.

