VIDEO: "EDની વિશ્વસનીયતા ખતમ, BJP-PMOના ઈશારે ખેલ!" પંજાબ સરકારને ફસાવવાના ષડયંત્ર પર મંત્રી અમન અરોરાનો ખુલ્લો પડકાર
પંજાબમાં કથિત 'કેશ-ફોર-ટ્રાન્સફર' અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અમન અરોરાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ED પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે અને તે માત્ર વડાપ્રધાન કાર્યાલય તથા ભાજપના રાજકીય ઈશારે કામ કરી રહી છે.
મીડિયા સમક્ષ પક્ષ રજૂ કરતા અમન અરોરાએ જણાવ્યું, "આજે ED પોતાની તમામ વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે, કારણ કે તે કેન્દ્ર સરકાર અને ભાજપના PMOના આદેશ મુજબ ચાલે છે. ગઇકાલે તેમણે પોતાના પત્રનો હવાલો આપ્યો હતો, પરંતુ એ વાત છુપાવી દીધી કે પંજાબ પોલીસે પણ 28 ઑગસ્ટે તેમને સત્તાવાર પત્ર પાઠવ્યો હતો."
ED દ્વારા મોકલવામાં આવેલા પુરાવાઓ અંગે સવાલ ઉઠાવતા તેમણે ખુલાસો કર્યો, "પંજાબ પોલીસે પત્રમાં સ્પષ્ટ પૂછ્યું હતું કે કયા આધારે FIR નોંધવાની માંગ કરવામાં આવી રહી છે? જે દસ્તાવેજો EDએ મોકલ્યા હતા તે ન તો વંચાય તેવા હતા કે ન તો સમજી શકાય તેવા. માત્ર સ્ક્રીનશોટની ઝેરોક્ષ કોપીઓ મોકલી દેવાઈ હતી, જેમાં કોઈ ઇલેક્ટ્રોનિક ડેટા પણ નહોતો. પંજાબ પોલીસે આ તમામ સંબંધિત વિગતો માંગી હતી અને EDને 1 સપ્ટેમ્બરે કોઈ અધિકારીને મોકલીને મૂળ ડેટા સુપરત કરવા જણાવ્યું હતું."
કેન્દ્ર સરકાર પર સીધો આરોપ લગાવતા મંત્રીએ ઉમેર્યું, "ED કોઈપણ ભોગે પંજાબના મુખ્યમંત્રી અને મને ફસાવવાના પ્રયાસો કરી રહી છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વને ખોટા કેસોમાં ગૂંચવી રાખવાનો અને અમારી છબી ખરડવાનો છે. પરંતુ જ્યારે કોઈ સાફ દાનત, પારદર્શિતા અને પ્રમાણિક નીતિઓ સાથે કામ કરે છે, ત્યારે અમને બદનામ કરવાના આવા કોઈ પણ પ્રયાસોથી અમે જરાય ડરતા નથી."

