Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ebola threat in India? Central government issues new health guidelines

ભારતમાં ઇબોલાનો ખતરો? કેન્દ્ર સરકારે જાહેર કરી નવી હેલ્થ ગાઇડલાઇન્સ

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
ભારતમાં ઇબોલાનો ખતરો? કેન્દ્ર સરકારે જાહેર કરી નવી હેલ્થ ગાઇડલાઇન્સ
સોર્સ : gstv

વૈશ્વિક સ્તરે વધી રહેલા ઘાતક ઇબોલા વાઇરસના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઇબોલાના પ્રકોપને 'વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી' (ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી) જાહેર કરાયા બાદ, ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ ઍરપૉર્ટ, બંદરો અને એન્ટ્રી પૉઇન્ટ્સ પર કડક હેલ્થ ઍડ્વાઇઝરી જાહેર કરી છે. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી અને આ તમામ પગલાં માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવી રહ્યા છે.

App Store

કોવિડ-19 મહામારીના સમયની યાદ અપાવતી આ વ્યવસ્થા અંતર્ગત પ્રશાસન દ્વારા સખત દેખરેખ રાખવામાં આવી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તમામ મોરચે સજ્જ રહેવા આદેશ આપ્યા છે. સરકારે રાજ્યો સાથે એક વિસ્તૃત SOP પણ શેર કરી છે, જેમાં સ્ક્રીનિંગ, ક્વોરેન્ટાઇન પ્રોટોકોલ, કેસ મેનેજમેન્ટ અને લેબ ટેસ્ટિંગ જેવી પ્રક્રિયાઓ સામેલ છે.

આફ્રિકાથી આવતા મુસાફરો પર રાખવામાં આવશે કડક નજર

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન મુજબ, ઇબોલાનું વધુ જોખમ ધરાવતા દેશો જેવા કે કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા અથવા ત્યાંથી પસાર થઈને ભારત આવતા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં ઇબોલાના લક્ષણો દેખાય, તો તેમણે ઇમિગ્રેશન ચેક પહેલાં જ ઍરપૉર્ટના હેલ્થ ઑફિસર કે હેલ્પ ડેસ્કને જાણ કરવી પડશે. આ ઉપરાંત, જો કોઈ મુસાફર અજાણતા પણ ઇબોલાના શંકાસ્પદ દર્દીના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેના માટે પણ સ્વાસ્થ્ય અધિકારીઓને રિપોર્ટ કરવો અનિવાર્ય રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા અને હેલ્થ સ્ક્રીનિંગમાં સહયોગ આપવા મુસાફરોને અપીલ કરી છે.

શું છે ઇબોલા વાઇરસ અને તેના મુખ્ય લક્ષણો?

ઇબોલા એ ઓર્થોઇબોલા વાઇરસ પરિવારનો એક અત્યંત ઘાતક અને જીવલેણ જૂનોટિક (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો) ચેપ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, જેમાં દર્દીને તીવ્ર તાવ આવવો, શરીરમાં નબળાઈ અને થાક લાગવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ તેમજ સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો થવો સામેલ છે. સ્થિતિ વધુ બગડે ત્યારે દર્દીને ઉલટી અને ઝાડાની સમસ્યા થાય છે. આ બીમારીનું સૌથી મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં કોઈ પણ દેખીતા કારણ વગર દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી વહેવા લાગે છે.

આ ઘાતક સંક્રમણ કેવી રીતે ફેલાય છે?

ઇબોલા વાઇરસ હવામાંથી ફેલાતો નથી, પરંતુ તે સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે.
શારીરિક પ્રવાહી દ્વારા: સંક્રમિત દર્દીના લોહી, લાળ, પરસેવો, આંસુ, ઉલટી, મળ અથવા માતાના દૂધના સીધા સંપર્કમાં આવવાથી આ ચેપ લાગે છે.
દૂષિત વસ્તુઓ દ્વારા: વાઇરસથી દૂષિત થયેલા કપડાં, પથારી, ધાબળા કે અન્ય કોઈ સપાટીને અડવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે.
મૃતદેહના સંપર્કથી: ઇબોલાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના શવના સીધા સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ અન્ય લોકોમાં ઝડપથી ટ્રાન્સફર થાય છે.