'તમામ 140 ધારાસભ્યો મારા છે...', કર્ણાટકમાં રાજકીય અટકળો વચ્ચે DK શિવકુમારનું નિવેદન

કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે.તેમણે સ્પષ્ટ કહ્યું કે, રાજ્યની કોંગ્રેસ સરકારમાં કોઈ આંતરિક ઝઘડો નથી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહેલી "નવેમ્બર ક્રાંતિ"ની ચર્ચા અને ધારાસભ્યોની દિલ્હી પ્રવાસ અંગે વધતી જતી અફવાઓ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિગતવાર સ્પષ્ટતા આપી હતી.
શિવકુમારે લખ્યું, તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે. જૂથ બનાવવું મારા લોહીમાં નથી. મુખ્યમંત્રી અને મેં હંમેશા કહ્યું છે કે, અમે હાઇકમાન્ડના નિર્ણય પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક ધારાસભ્યોની દિલ્હી મુલાકાત કોઈ રાજકીય દબાણ કે જૂથવાદની નિશાની નથી, પરંતુ સંભવિત મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં નેતૃત્વને મળવાની સામાન્ય રાજકીય પ્રથા હતી. સાથે જ સ્પષ્ટતા કરી કે "મુખ્યમંત્રીએ મંત્રીમંડળમાં ફેરબદલ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રી બનવું એ દરેકનો અધિકાર છે, તેથી ધારાસભ્યો માટે નેતૃત્વને મળવું સંપૂર્ણપણે સામાન્ય છે. અમે કોઈને રોકી શકતા નથી."
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરતા શિવકુમારે કહ્યું, "મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. હું તેમને શુભકામનાઓ પાઠવું છું, અને અમે બધા તેમની સાથે મળીને કામ કરીશું."
જણાવી દઈએ કે, આ સપ્તાહમાં ડીકે શિવકુમારના સમર્થકો ગણાતા ઘણા ધારાસભ્યો અચાનક દિલ્હી પહોંચ્યા હતા. જેને લઈને કર્ણાટક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. રાજકીય વર્તુળોમાં એવી અટકળો શરૂ થઈ ગઈ કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો નવો પ્રયાસ ચાલી રહ્યો છે. કેટલાક નેતાઓએ આને "નવેમ્બર ક્રાંતિ" પણ ગણાવી હતી. આ ચાલતા ઘટનાક્રમ વચ્ચે શિવકુમારે આપેલા નિવેદનમાં આવા દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે.

