VIDEO: દિલ્હી: રામ મંદિર દાન વિવાદ મુદ્દે સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોનું વિરોધ પ્રદર્શન
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ચઢાવા અને દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના મુદ્દે નવી દિલ્હી સ્થિત સંસદ પરિસરમાં 'ઈન્ડિયા' ગઠબંધનના વિપક્ષી સાંસદોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદના મકર દ્વાર પાસે વિપક્ષી નેતાઓએ પ્રતીકાત્મક નાટક ભજવીને અને નારેબાજી કરીને કેન્દ્ર સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શન દરમિયાન સાંસદ પપ્પુ યાદવ ભગવા વસ્ત્ર ધારણ કરી નાટ્યાત્મક રીતે દાનના નાણાં પોતાના ખિસ્સામાં મૂકતા નજરે પડ્યા હતા, જે દ્વારા દાનની રકમમાં થયેલી કથિત ચોરી તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સમાજવાદી પાર્ટી અને અન્ય પક્ષોના સાંસદોએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિપક્ષી નેતાઓએ 'ચંદા ચોર, ગાદી છોડો' અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આકરા નારા લગાવ્યા હતા. બીજી તરફ, ભાજપે આ પ્રદર્શનને સનાતન પરંપરા અને સાધુ-સંતોનું અપમાન ગણાવ્યું હતું.

