દિલ્હી દારૂ નીતિ કેસ: જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા કેસથી અલગ થતાં નવી બેન્ચ બનાવી, હવે જસ્ટિસ મનોજ જૈન કરશે સુનાવણી

દિલ્હી દારૂ નીતિ સાથે જોડાયેલા કેસમાં અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારતી CBIની અરજી પર દિલ્હી હાઈકોર્ટે નવી બેંચની રચના કરી છે. જસ્ટિસ મનોજ જૈનની સિંગલ જજની બેંચ હવે આ મામલાની સુનાવણી કરશે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આરોપીઓ સામે અદાલતની ગુનાહિત અવમાનના બદલ કાર્યવાહી શરૂ કરવાની ભલામણ સાથે પોતાને આ સુનાવણીથી અલગ કરી લીધા હતા. આ પછીથી ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે આ નવી બેંચની રચના કરી છે.
જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર કથિત રીતે બદનક્ષીભરી પોસ્ટ કરવા બદલ તેમની સામે ગુનાહિત અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ સહિત અન્ય લોકો સામેના ગુનાહિત અવમાનના કેસની સુનાવણી પણ હાઈકોર્ટની ખંડપીઠ કરશે.
19 મેના રોજ સુનાવણી
ગુનાહિત અવમાનના કેસ પર જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવીન્દ્ર ડુડેજાની બેંચ સુનાવણી કરશે. મંગળવારે હાઈકોર્ટમાં આ બંને મામલાઓ પર સંબંધિત બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ જણાવ્યું હતું કે, જેમની સામે તેમણે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે, તેઓ જ આ મુખ્ય કેસમાં મુખ્ય આરોપી પણ છે. એટલા માટે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહથી બચવા માટે તેઓએ પોતાને મુખ્ય કેસની સુનાવણીમાંથી અલગ કરવાનો નિર્ણય લીધો છે.

