VIDEO: કુવૈતથી કેરળ લાવવામાં આવ્યા 45 ભારતીયોના પાર્થિવ શરીર, કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી એરપોર્ટ પહોંચ્યા

કુવૈતની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામનારા 45 ભારતીયોના પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાન, C-130J, શુક્રવારે સવારે 45 મૃત ભારતીયોના મૃતદેહોને લઈને કોચી માટે ઉડાન ભરીને ભારત પહોંચી ગયું છે. કોચ્ચી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ પહોંચી ગયા છે. એરપોર્ટ પર પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. કોચ્ચી એરપોર્ટ પરથી જુદી જુદી એમ્બ્યુલન્સ થકી પરિવારને સોંપવામાં આવશે.
કુવૈતમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો નિવાસ કરી રહ્યા હતા. મૃતકોમાં ત્રણ ઉત્તર પ્રદેશના, 24 કેરળના, સાત તમિલનાડુના અને ત્રણ આંધ્રપ્રદેશના હતા. ભારતીય દૂતાવાસે કહ્યું કે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ જ વિમાન દ્વારા પરત ફરી રહ્યા છે. કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી ગયું છે.
યુપીના મૃતકોની ઓળખ વારાણસીના માધવ સિંહ, ગોરખપુરના જયરામ ગુપ્તા અને અંગદ ગુપ્તા તરીકે થઈ છે. તે જ સમયે, આંધ્રપ્રદેશના મૃતકોમાં શ્રીકાકુલમ જિલ્લાના ટી લોકાનંદમ, એમ સત્યનારાયણ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એમ એશ્વરુડુની ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 48 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં સાત માળની ઈમારતમાં થયેલા અકસ્માતમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કેરળ સરકારે મદદની જાહેરાત કરી
કેરળ સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ દરમિયાન ભારતના વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે. ત્યાં તે ઘાયલોને મળ્યા હતા. મૃતદેહોની ઓળખ સ્થાપિત કર્યા પછી, કુવૈત પ્રશાસને વચન આપ્યું હતું કે તે ઝડપથી અકસ્માતની તપાસ કરશે બિલ્ડિંગમાં 196 કામદારોને રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. એક દિવસ પહેલા આ સંખ્યા 160 હોવાનું કહેવાય છે.

