મણિપુરમાં ફરી હિંસા: તણાવ વધતાં ઇમ્ફાલમાં કર્ફ્યુ, ટોળાએ ધારાસભ્યોના ઘરોને નિશાન બનાવ્યા

Manipur violence: મણિપુરના જીરીબામમાં શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા એક પરિવારને બંધક બનાવ્યા બાદ અત્યાર સુધીમાં છ મૃતદેહો મળી આવ્યા છે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં ફરી ભડકે બળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેના પગલે ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
વાહનોને આગ ચાંપી દેવામાં આવી
બીજી તરફ દેખાવકારોએ ભાજપના ધારાસભ્યો સપમ કેબા, સપમ નિશિકાંત અને આરકે ઈમોના ઘરોમાં તોડફોડ કરી હતી, વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે રાજ્યમાં હિંસક ગતિવિધિઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
મૈતેઈ સમુદાયના એક પરિવારનું અપહરણ કરાયું
નોંધનીય છે કે, મંગળવારે જીરીબામમાં જ સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 10 આતંકીવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓએ CRPFની ચોકી પર હુમલો કર્યો હતો. આ જ ગામમાં મૈતેઈ પરિવારના લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

