વંદે ભારત ટ્રેન ઉદ્ઘાટનમાં વિદ્યાર્થીઓએ ગાયું RSSનું ગીત, રેલવે પર ભડકેલા કેરળ CMએ આપ્યા તપાસના આદેશ

કેરળમાં RSSના ગીતને લઈને રાજકારણ ગરમાયું છે. કેરળ સરકારે એર્નાકુલમથી બેંગલુરુ જતી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પછી ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગીત ગાવા માટે દક્ષિણ રેલવેના કથિત પગલાની તપાસના આદેશ આપ્યા છે. જો કે, કેન્દ્રીય મંત્રીઓએ આ ઘટનાને યોગ્ય ઠેરવીને જણાવ્યું કે, તે એક દેશભક્તિ ગીત છે. કેરળના શિક્ષણ મંત્રી, વી. શિવનકુટ્ટીએ જાહેર સૂચના નિયામક (DPI)ને તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
શું છે વિવાદ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનના થોડા સમય પછી દક્ષિણ રેલવેએ એક વીડિયો શેર કર્યો જેમાં વિદ્યાર્થીઓ ટ્રેનમાં RSS ગીત ગાતા દેખાતા હતા. જોકે, ટ્રોલ થયા પછી, આ વીડિયોને દૂર કરવામાં આવ્યો અને પછી અંગ્રેજી અનુવાદ સાથે ફરીથી શેર કરવામાં આવ્યો.
વિદ્યાર્થીઓના સમર્થનમાં શાળાના આચાર્ય
ગીતને યોગ્ય ઠેરવતા, એલમક્કારામાં સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલના આચાર્ય ડિન્ટો કે.પી.એ તેને દેશભક્તિ ગીત ગણાવ્યું. તેણે કહ્યું કે 'આ ગીત દક્ષિણ રેલવે દ્વારા નિર્દેશિત ન હતું, પરંતુ બાળકોએ તેને મલયાલમ દેશભક્તિ ગીત તરીકે ગાવાનું પસંદ કર્યું.' આચાર્યએ એ પણ સ્વીકાર્યું કે વિવાદ પછી અને દક્ષિણ રેલવેના X હેન્ડલ પરથી ગીતનો વીડિયો દૂર કર્યા પછી, શાળા વહીવટીતંત્રે પીએમ કાર્યાલય અને કેન્દ્રીય રેલવે મંત્રીને પત્રો મોકલ્યા. આ ઉપરાંત તેણે કહ્યું, 'અમને ખબર નથી કે રાજ્યના શિક્ષણમંત્રીએ આ મામલે તપાસનો આદેશ કેમ આપ્યો. જો સામાન્ય શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે, તો અમે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારીશું.'
શું બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હતું?
વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાની સખત નિંદા કરી અને "સાંપ્રદાયિક હેતુઓ માટે" બાળકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ શાળા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તપાસની જાહેરાત કરતા શિવનકુટ્ટીએ કહ્યું કે 'સરકારી કાર્યક્રમોમાં બાળકોનું રાજકારણ કરવું અને ચોક્કસ જૂથના સાંપ્રદાયિક એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેમનો ઉપયોગ કરવો એ બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જાહેર સૂચના નિયામક (DPI)ને તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.'
તેણે કહ્યું કે,'રિપોર્ટના તારણોના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે. દેશના ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી સરકારની છે, અને આ સિદ્ધાંતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે.'
ભાજપના નેતાઓનો બચાવ
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ ટ્રેનમાં વિદ્યાર્થીઓ દ્વારા RSS ગીત ગાવાનું વાજબી ઠેરવ્યું. તેમણે ત્રિશૂરમાં પત્રકારોને જણાવ્યું કે, 'બાળકોનો ઉજવણીનો એક ભાગ હતો.' પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પર્યટન રાજ્ય મંત્રીએ કહ્યું, 'તેને તે ક્ષણે તે ગીત ગાવાનું મન થયું, અને તેમણે ગાયું. ગમે તે હોય, તે ઉગ્રવાદી ગીત નથી.'

