Canada:કોન્સ્યુલેટ એજન્સી BSL સામે ખોટી રીતે નાણા પડાવવાનો આરોપ, ભારતીયોએ મોરચો માંડ્યો

કેનેડાની એકમાત્ર ભારતીય કોન્સ્યુલેટ એજન્સી બીએલએસ સામે સ્થાનિક ભારતીયોએ ખોટી રીતે હેરાન કરીને ખર્ચા બતાવીને ધક્કા ખવરાવવા બદલ બાયો ચઢાવી છે. મોટા ભાગના લોકોનો એવો આક્ષેપ છે કે કેનેડાથી ભારત જતાં અને ભારતથી કેનેડા આવતા નાગરિકોને બિનજરુરી સેવાઓ માટે દબાણ કરવામાં આવે છે અને જો કોઈ આ સેવાઓ લેવાની ના પાડે તો તેને વધુ પડતાં ધક્કા ખવરાવવામાં આવે છે.
ભારતના રહીશો માટે નિમાયેલી એજન્સી ભારતના નાગરિકોને એક યા બીજા કારણે પરેશાન કરે છે.
કેનેડા ભારતીય કોન્સ્યુલેટ સાથે સંકળાયેલી બીએલએસ એક માત્ર કંપની છે જે વહીવટીય અને બિન ન્યાયિક પાસપોર્ટ પ્રક્રિયા ઉપરાંત વિઝા અને અન્ય સેવાઓ માટે ખરાઈ કરવાનું કામ કરે છે. ટોરેન્ટો ખાતે આવેલી કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન હાઈકમિશન-ઓટાવા અને વાનકુંવર ખાતે આવેલા કોન્સ્યુલેટની ખરાઈનું કામ પણ બીએલએસને જ સોંપવામાં આવ્યું છે. કેનેડાથી ભારત આવતાં કે ભારતથી કેનેડા જતાં ભારતીયોને વિઝા ઉપરાંત અન્ય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયા દરમિયાન ડોક્યુમેન્ટ્સની ખરાઈ સાથે પાસપોર્ટ, વિઝા, એટેસ્ટેશન, ઉપરાંત ઓવરસિઝ સિટિઝનશીપ કાર્ડની સેવાઓ પૂરી પાડે છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીયોને બીએલએસ દ્વારા અનેક કડવા અનુભવો થયા છે. જેમ કે જે સેવાઓની ના જરુરિયાત હોય તેવી સેવાઓ માટે સતત દબાણ કરવું, વધુ પડતાં ખરાઈના ધક્કા ખવરાવીને પૈસા વધુ થાય તેવી પ્રક્રિયાઓમાંખી પસાર કરવા દબાણ કરવું. કેનેડામાં બીએલએસના 7000 હતાશ ગ્રાહકોએ ભેગા થઈને ઓનલાઈન પીટિશન જાહેર કરી છે કે, સત્વરે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે.
એપ્રિલમાં મિસિસાગરની મુલાકાત દરમિયાન એક ગ્રાહકે જણાવ્યું હતું કે, તેની OCI અરજીમાં BLS વેબસાઈટ પર ઉલ્લેખિત ન હોય તેવા વધારાના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા અને તેના ફોટા અને અરજી ફોર્મમાં નાની ભૂલો શોધીને તેમને બિનજરુરી હેરાન કરવામાં આવ્યા હતા. ભારતીય મિશન દ્વારા આ એક માત્ર એજન્સી છે જેનો હાલમાં ભારતીયો જ ભોગ બની રહ્યા છે. કેનેડા સ્થિત હરપ્રિત હોરા નામના વકીલને બીએલએસ દ્વારા કુરિયર સેવાઓ લેવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને પરાણે કુરિયર સેવાઓ ગળે લટકાવી હતી. પાછળથી ફરિયાદ કરવામાં આવતા રિફંડ આપવામાં આવ્યું હતું. ભારતીયો માટે જ બનેલી આ એજન્સીમાં ભારતીયો જ લૂંટાઈ રહ્યા છે. ત્યારે ઓકવિલના શિવમ નહેરા નામના એક ક્લાયન્ટને પ્રિમિયમ લોન્જ સર્વિસ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ખર્ચનો વિકલ્પ ના સ્વીકારતા નેહરાને પીઆર માટે ખાસ્સા ધક્કા ખાવા પડ્યા હતા. વારંવાર તેના દસ્તાવેજોની ભૂલો કાઢીને તેને ફરી ધક્કા ખવરાવવામાં આવ્યા હતા.
જો કે આ અંગે ભારતીય કોન્સ્યુલેટ સુધી ફરિયાદ પહોંચતા કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે બીએસએસને અધિકૃત પ્રક્રિયા દ્વારા આ સેવા આપવામાં આવી હતી.

