મધ્ય પ્રદેશમાં મીનાક્ષી નટરાજનનું રાજ્યસભા ફોર્મ રદ્દ, ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો

મધ્ય પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીને લઈને એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન (ફોર્મ) રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યું છે. નટરાજન પર આરોપ છે કે તેમણે પોતાના નામાંકન ફોર્મમાં હૈદરાબાદની એક કોર્ટમાં પેન્ડિંગ રહેલા ગુનાહિત કેસની માહિતી કથિત રીતે છુપાવી હતી.
ભાજપની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભાજપની આ ફરિયાદ બાદ રિટર્નિંગ ઓફિસરે મીનાક્ષી નટરાજનને નોટિસ પાઠવીને 9 જૂનના રોજ સાંજે 5:30 વાગ્યા સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.
જવાબ ન આપતા થઈ કાર્યવાહી
જો કે, નિર્ધારિત સમય મર્યાદા સુધી કોંગ્રેસ ઉમેદવાર તરફથી કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ પોતાની તપાસમાં માહિતી છુપાવવાના આરોપને સાચો ગણીને, ટેકનિકલ ગ્રાઉન્ડ પર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસને મોટો ઝટકો
ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની સાથે જ કોંગ્રેસ હવે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની આ રેસમાંથી બહાર થઈ ગઈ છે, જે આગામી રાજકીય ગણિત માટે પક્ષ માટે એક ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

