કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદની મુશ્કેલી વધી! PM મોદી વિરુદ્ધ 'બોટી બોટી' નિવેદન મુદ્દે જઈ શકે છે સાંસદપદ

ઉત્તર પ્રદેશના સહારનપુરના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ વિરુદ્ધ કોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા 2014માં તેમણે ગુજરાતના તત્કાલિન સીએમ અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'બોટી-બોટી' નિવેદન આપવા બદલ આરોપો ઘડવામાં આવ્યા હતા. જે કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે તેમાં 5 થી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. એવા જો તે દોષિત સાબિત થાય છે તો કોંગ્રેસના સાંસદને સંસદનું સભ્યપદ પણ ગુમાવવું પડી શકે છે.
પીએમ મોદી વિરુદ્ધ આપ્યું હતું નિવેદન
10 વર્ષ પહેલા સહારનપુરના સાંસદ ઈમરાન મસૂદે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન દેવબંદના ગામ લબકરીમાં આયોજિત એક જાહેર સભા દરમિયાન નિવેદન આપ્યું હતું કે, 'ગુજરાતમાં 4% મુસ્લિમો છે, જ્યારે સહારનપુરમાં 42% મુસ્લિમ છે. જો નરેન્દ્ર મોદી સહારનપુર આવશે, તો તેમના ટુકડા કરી નાખવામાં આવશે.' આ ઉપરાંત સાંસદે સહારનપુરમાં બસપાના બે ધારાસભ્યો પર પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેમાંથી એક દલિત ધારાસભ્ય હતા.
ઈમરાન મસૂદ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
આ નિવેદનનો વીડિયો ઘણો વાયરલ થયો હતો અને તેને પીએમ મોદી વિરુદ્ધ હોવાનું કહેવાય છે, જેના કારણે ભારે હોબાળો થયો હતો. આ નિવેદન બાદ દેવબંદ પોલીસ સ્ટેશનના તત્કાલિન ઈન્ચાર્જે ઈમરાન મસૂદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતું નિવેદન), લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 (ચૂંટણી દરમિયાન સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવા) હેઠળ કેસ દાખલ કર્યો હતો અને SC/ST એક્ટની કલમ 310 (દલિત સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષા) હેઠળ કેસ નોંધાયો હતો. પોલીસે આ કેસમાં સાક્ષી તરીકે ચાર પોલીસકર્મીઓ સહિત 19 લોકોના નિવેદન નોંધ્યા છે.
દોષિત સાબિત થશે તો સાંસદ પદ પણ ગુમાવશે
આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે. ત્યારે મસૂદ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર હતા. જો કે મસૂદે બાદમાં આ નિવેદન માટે માફી માંગી હતી, તેમ છતાં કાયદાકીય કાર્યવાહી ચાલુ રહી હતી. જો તે દોષિત સાબિત થશે તો જે કલમો હેઠળ તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે તે બદલ તેને 5 થી 7 વર્ષની સજા થઈ શકે છે અને તે પોતાનું સાંસદ પદ પણ ગુમાવી શકે છે.
ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે
હવે આ કેસમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને જો ઈમરાન મસૂદ કોર્ટમાં દોષી સાબિત થશે તો તેને કાયદાકીય પરિણામ ભોગવવા પડી શકે છે. આ કેસમાં વધુ સુનાવણી હવે વિશેષ ન્યાયાધીશ મોહિત શર્માની કોર્ટમાં થશે, જ્યાં સાક્ષીઓ અને ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે ચુકાદો સંભળાવવામાં આવશે.

