કર્ણાટકમાં મોટો ઉલટફેર; હાઈકોર્ટના આદેશ બાદ રિકાઉન્ટિંગમાં કોંગ્રેસે બેઠક ગુમાવી, ભાજપના ડી.એન. જીવરાજ વિજેતા જાહેર

કેરલમ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓના આજે(4 મે) પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપને કર્ણાટકથી એક મોટી અને ચોંકાવનારી 'ગુડ ન્યૂઝ' મળી છે. જેમાં શ્રૃંગેરી વિધાનસભા બેઠક અંગેના વળાંકમાં ભાજપના ઉમેદવાર ડી.એન. જીવરાજને હવે સત્તાવાર રીતે ધારાસભ્ય જાહેર કર્યા છે, તેઓ 2023ની ચૂંટણી હારી ગયા હતા. પાંચ રાજ્યોમાં મત ગણતરી હાલમાં નવી સરકારોનું ભાવિ નક્કી કરી રહી છે, ત્યારે કર્ણાટકમાં પોસ્ટલ બેલેટની પુનઃગણતરીના હાઇકોર્ટના આદેશ અનુસાર વર્તમાન કોંગ્રેસના ધારાસભ્ય પાસેથી બેઠક છીનવાતા હવે ભાજપમાં આવી છે.
કર્ણાટક હાઇકોર્ટના આદેશ પર પોસ્ટલ બેલેટની પુનઃચકાસણી અને રિકાઉન્ટ બાદ રિટર્નિંગ ઓફિસરે આ નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય બાદ મે 2023થી ધારાસભ્ય રહેલા કોંગ્રેસના ટી.ડી. રાજે ગૌડાનું વિધાનસભાનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે.
હાઈકોર્ટનો આદેશ અને રિકાઉન્ટ
અરજી અને આદેશ: 2023ની ચૂંટણીમાં હાર બાદ ભાજપના ડી.એન. જીવરાજે કર્ણાટક હાઈકોર્ટમાં રાજે ગૌડાની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી હતી. જેમાં 6 એપ્રિલના રોજ હાઈકોર્ટે પોસ્ટલ બેલેટની ફરીથી ચકાસણી અને રિકાઉન્ટનો આદેશ આપ્યો હતો.
ગણતરીની પ્રક્રિયા: હાઈકોર્ટના આદેશના પાલન પર શનિવારે મતગણતરી ફરીથી શરૂ કરાઈ હતી અને જે મોડી રાત સુધી ચાલી હતી.
મતનું નવુ ગણિત: કેવી રીતે પલટાયું પરિણામ
2023ની મૂળ ગણતરી: રિટર્નિંગ ઓફિસર ગૌરવ કુમાર શેટ્ટીના અનુસાર, ગત ગણતરીમાં પોસ્ટલ બેલેટથી જીવરાજને 692 અને રાજે ગૌડાને 569 મત મળ્યા હતા.
રિકાઉન્ટ : જીવરાજને 690 મત અને રાજે ગૌડાના મતનો આંકડો 314 રહ્યો હતો.
નુકસાન: રાજે ગૌડાને કુલ 255 પોસ્ટલ મત ઓછા થયા, જેનાથી જીવરાજ આગળ રહ્યા.
સત્તાવાર જાહેરાત
ભાજપે રિટર્નિંગ ઓફિસરને શક્ય તેટલી વહેલી તકે પરિણામો જાહેર કરવા વિનંતી કરી હતી. જેમાં રવિવારે મોડી રાત્રે અધિકારીએ એક સત્તાવાર દસ્તાવેજ જાહેર કર્યો હતો. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 66 અને ચૂંટણી આચાર નિયમો, 1961ના નિયમ 64 અનુસાર ડી.એન. જીવરાજને શ્રૃંગેરી(123) વિધાનસભા મતવિસ્તારમાંથી યોગ્ય રીતે ચૂંટાયેલા જાહેર કર્યા હતા.
કોંગ્રેસે લગાવ્યા છેડછાડના ગંભીર આરોપ
રિકાઉન્ટિંગ બાદ પરિણામ બદલાયું છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજે ગૌડા અને તેમના સમર્થકોએ 'મતમાં છેડછાડ'નો આરોપ લગાવ્યો છે.
રાજે ગૌડાએ શું કહ્યું?
રાજે ગૌડાએ કહ્યું કે, 'મારા પક્ષમાં નાખવામાં આવેલા મતપત્રો પર નિશાન બનાવામાં આવ્યા છે. તેના પર અલગ શાહીનો ઉપયોગ સ્પષ્ટપણ દેખાય છે. 2023માં મતગણતરી દરમિયાન બધા પક્ષોના એજન્ટોની હાજરીમાં તમામ મતપત્રોને માન્ય ગણવામાં આવ્યા હતા. જો કે, હવે તે અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે, જેના પરિણામે મારા મતોની સંખ્યામાં ઘટાડો થયો છે.'
આ બધા વચ્ચે, 2023ની ચૂંટણીમાં રાજે ગૌડાના કાઉન્ટિંગ એજન્ટ તરીકે સેવા આપનારા સુધીર કુમાર મુરોલીએ ચિક્કમગલુરુ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં 255 મતપત્રોમાં છેડછાડનો આરોપ મૂકવામાં આવ્યો છે અને પૂર્વ ચૂંટણી અધિકારીઓ વેદમૂર્તિ અને ડી.એન. જીવરાજ અને પૂર્વ ડેપ્યુટી કમિશનર કે.એન. રમેશ સામે કેસ નોંધીને તપાસની માગ કરવામાં આવી છે.

